કાલે રૂપાલા ફોર્મ ભરશે: ભાજપ શક્તિ પ્રદર્શન કરશે: ટારગેટ ડબલ કરાયો!

Gujarat, Saurashtra, Lok Sabha Election 2024 | Rajkot | 15 April, 2024 | 05:58 PM
ઉમેદવારી નોંધાવતા પૂર્વે બહુમાળી ભવનચોકમાં સભા: તૈયારીને આખરી ઓપ: લોકલથી માંડીને પ્રદેશ નેતાઓ હાજરી આપશે: આગેવાનોને અગાઉના ટારગેટ કરતા બમણી સંખ્યામાં લોકલ એકત્રિત કરવા કહેવાયું
સાંજ સમાચાર

રાજકોટ, તા.15
રાજકોટમાં ક્ષત્રિય સમાજના વિરાટ મહાસંમેલન બાદ હવે કાલે ભાજપના ઉમેદવાર પરસોતમ રુપાલા ઉમેદવારી નોંધાવાના છે અને તે પૂર્વે ભાજપ દ્વારા મોટું શક્તિપ્રદર્શન કરવામાં આવશે. અગાઉના ટારગેટ કરતા બમણા લોકો એકઠા કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. બહુમાળી ભવન ચોકમાં તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોતમ રુપાલા સામે ક્ષત્રિય સમાજ મેદાને પડ્યો છે. વિવાદાસ્પદ વિધાનો કરનારા રુપાલાની ટીકીટ રદ કરવાની માંગણી સાથે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. ગઇકાલે રાજકોટમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી ક્ષત્રિયો ઉમટ્યા હતા અને હાજરી લાખોમાં થઇ હતી. આ મહાસંમેલન પર ભાજપ નેતાગીરીની વોચ હોવાનું સ્પષ્ટ હતું. હવે ભાજપના ઉમેદવાર આવતીકાલે રાજકોટની બેઠક પરથી ફોર્મ ભરવાના છે ત્યારે તેમાં પણ શક્તિ પ્રદર્શન યોજવાનો વ્યૂહ આપનાવવામાં આવ્યો છે.

રૂપાલાનું ફોર્મ ભરવાનું સમયપત્રક તથા કાર્યક્રમ ભાજપે અગાઉ જ જાહેર કરી દીધો હતો. પરંતુ હવે ભાજપના વર્તુળોએ એમ કહ્યું છે કે રૂપાલા ફોર્મ ભરવા જાય તે પૂર્વે યોજાનારા કાર્યક્રમમાં સંખ્યાનો ટારગેટ ડબલ કરી દેવામાં આવ્યો છે. દા.ત. કોઇ એક આગેવાનને 100 લોકોને લઇ આવવાનો ટારગેટ અપાયો હતો તે હવે ડબલ કરીને 200નો કરી દેવામાં આવ્યો છે. એકાએક ટારગેટ વધારાયા પાછળની રણનીતિ ‘મોટા શક્તિ પ્રદર્શન’ની જ હોવાનું સ્પષ્ટ છે.

પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે રૂપાલા આવતીકાલે ફોર્મ ભરશે તે પૂર્વે બહુમાળી ચોકમાં સભાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સ્થાનિક-લોકલથી માંડીને પ્રદેશ નેતાઓ હાજરી આપવાના છે. રાજ્યના કેબીનેટ પ્રધાનો કુવરજી બાવળીયા, ભાનુબેન બાબરીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા-મહેન્દ્રસિંહ સરવૈયા હાજરી આપવાના છે. લોકલ નેતાઓ-આગેવાનો-કાર્યકરો સહિત હજારોની સંખ્યામાં હાજરી આપશે. આ કાર્યક્રમ માટેની પૂર્વ તૈયારીને આખરીઓપ આપવામાં આવ્યો છે. બહુમાળી ચોકમાં વિશાળ મંચ સહિત સભા મંડપ તૈયાર કરવામાં આવ્યો છે. ભાજપ દ્વારા મહિનાથી જોરદાર પ્રચાર કરવામાં આવી જ રહ્યો છે અને આવતીકાલે ફોર્મ ભરાયા પૂર્વે જ સર્વત્ર કેસરીયો માહોલ સર્જી દેવાનો વ્યૂહ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

► સભાના 30 કલાક પુર્વે જ બહુમાળી ચોકનો એક ભાગ બંધ: વાહનચાલકોને ભારે હાલાકી
વડાપ્રધાન આવે ત્યારે પણ બે-ચાર કલાક જ રસ્તો બંધ થાય છે
ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા આવતીકાલે ઉમેદવારી નોંધાવાના છે તે પુર્વે બહુમાળી ચોકમાં સભા રાખવામાં આવી છે. આવતીકાલના કાર્યક્રમ માટે આજે જ મંચ અને મંડપ નાખીને એકબાજુનો માર્ગ બંધ કરી દેવામાં આવતા લોકો-વાહનચાલકોમાં ભારે કચવાટ અને નારાજગી વ્યકત થઈ હતી. એક સાઈટ પરથી જ વાહનચાલકોને આવનજાવન કરવાની હાલત સર્જાતા વારંવાર ટ્રાફીકજામ પણ સર્જાયો હતો. લોકોમાં એવી ચર્ચા હતી કે આજે રાત્રે અથવા કાલે વ્હેલી સવારે આ કાર્ય થઈ શકે તેમ હતું. આજે આખો દિવસ રસ્તો બંધ કરવાની જરૂર ન હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત વખતે પણ બે-ચાર કલાક જ રસ્તો બંધ કરાતો હોય છે પરંતુ ભાજપની સભા માટે 30 કલાક બંધ કરી દેવાયો છે. આ બાબત પણ ભાજપના પ્રચારનો એક ભાગ જ છે? તેવો સવાલ પણ ઉઠવા લાગ્યો છે. રૂપાલાની ઉમેદવારી વિવાદમાં આવી જ છે ત્યારે ભાજપની ‘એડવાન્સ તૈયારી’ પણ ચર્ચાનો વિષય બની છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj