આજે માધવપુર (ઘેડ)માં રામનવમીથી શ્રીકૃષ્ણ રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવ અને વિવાહ નિમિતે ભરાતા મેળાનો પ્રારંભ થઈ ચુકયો છે.
આજે શ્રી કૃષ્ણના વિવાહના મંડપ રોપણ થયા છે. આજે બપોરના બે વાગ્યે રૂક્ષ્મણીજીના પિયરીયાઓ વાજતે ગાજતે ઢોલ શરણાઈના સૂરે નાચતા કુદતા ડીજે સાથે માધવરાય મંદિરે આવી માતા રૂક્ષ્મણીને તેમને મઢે તેડી જશે.
રાત્રીના 9 વાગ્યે રામનવમીના પાવન દિવસે પરંપરા મુજબ શ્રી કૃષ્ણનું ધામધુમપૂર્વક પહેલુ ફુલેકુ માધવરાયના મંદિરેથી એન્ટીક રથમાં નીકળશે. શ્રી કૃષ્ણના ફુલેકા માટે શ્રી કૃષ્ણને તિલક, હાર, ગજરો આપી પસ ભરાવી રથમાં બીરાજમાન કરવામાં આવશે. કિર્તનકારો કીર્તન કરશે. ભાઈ બહેનો દાંડીયા રાસની રમઝટ બોલાવશે. ઢોલ શરણાઈના સૂરે વાજતે ગાજતે ફુલેકુ માધવરાયના મંદિરેથી નીકળશે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનને ગાર્ડ ઓફ ઓનર પોલીસ દ્વારા આપવામાં આવશે. પછી ફુલેકુ મેઈન બજારમાં થઈ બ્રહ્મકુંડે પહોંચશે. મેઈન બજારમાંથી ફુલેકુ નીકળતું હોવાથી દુકાનદારો શ્રી કૃષ્ણ પ્રભુને પેંડા, બરફી, મીસરી, શરબત, સૂકો મેવો, લીલો મેવો વગેરે ધરાવે છે.
આ બધો મેવો સમગ્ર ભાવિક ભકતોને વહેચવામાં આવે છે. દાંડીયા રાસની રમઝટ અને લગ્નગીતો ગાતી બહેનો સાથે આ ફુલેકુ બ્રહ્મકુંડે પહોંચશે. ત્યાર કિર્તનકારો ચાર કીર્તન કરશે. શ્રીકૃષ્ણને રવાડીમાં બેસાડી વિશ્રામ કરાવવામાં આવશે અને આરતી ઉતારવામાં આવશે ત્યાં શીતલ જલ અને સામગ્રી ધરાવવામાં આવશે તે સામગ્રી અને જલ સમગ્ર જનતામાં વહેંચવામાં આવશે.
માધવરાય મંદિર અનેરી રોશનીથી શણગારવામાં આવ્યું છે. અને સુશોભિત મંડપ રચાઈ ગયો છે. ઉપરોકત તસ્વીરમાં શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીજી અન્ય તસ્વીરમાં શણગારેલો રથ જોવા મળે છે.
(તસ્વીર: આશિષ પોપટ-માધવપુર/ઘેડ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy