માધવપુર (ઘેડ) તા.22
ભગવાન શ્રીકૃષ્ણ રૂક્ષ્મણીજીના લગ્ન સમયે પ્રસંગોની ઉજવણીમાં માધવપુર વૈકુંઠ બની ગયુ હોય તેમ લાગતું હતું. તા.21ના રોજ શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીજીના લગ્ન સંપન્ન થયા બાદ શ્રીકૃષ્ણ રૂક્ષ્મણીજીએ રાતવાસો મધુવનમાં જ કર્યો હતો. અને સવારના સૌ કોઈ ભાવિક ભકતો ભાઈ બહેનોએ યુગલ સ્વરૂપને તિલક, ચરણ સ્પર્શ અને વધામણું કરવાનો લાભ લીધો હતો.
રૂક્ષ્મણીજીના પિયર પક્ષના રૂક્ષ્મણી-માધવને ભોગ લગાવવા આવ્યા હતા. આ રોજભોગ ભગવાનને જમાડયા બાદ સમગ્ર જનતાને સુવ્યવસ્થિત રીતે બાટવામાં આવ્યો હતો. રાજસ્થાનથી પધારેલ મંડળીએ નાચગાન કરી દુહા બોલી પોતાની શૈલીઓ રજુ કરી ભાવવિભોર બનાવ્યા હતા. ત્યારબાદ શ્રીકૃષ્ણ રૂક્ષ્મણીને વાજતે ગાજતે ઢોલ શરણાઈના સૂરે ર્કિતનકારો સાથે દાંડીયા રાસની રમઝટ સાથે નિજ મંદિરે લઈ આવવા જાનૈયાઓ નિકળ્યા હતા. સૌ કોઈ લગ્નના આનંદમાં રૂક્ષ્મણી-માધવનો જયજય બોલાવતા એકબીજા પર ગુલાલ ઉડાવી આનંદ હરખ ઉલ્લાસની લાગણી વ્યકત કરતા હતા. જાનૈયાઓ તથા સૌ કોઈ રંગે રંગાઈ ગયા હતા. ગુલાલની છોળો ઉડવાથી રસ્તા લાલ જાજમ પાથરી હોય તેવા દેખાતા હતા. ભાવિક ભાઈ બહેનોની ભીડ જામી હતી.
શ્રીકૃષ્ણ રૂક્ષ્મણીજીની રવાડી માધવ ચોકમાં પહોંચ્યા બાદ કીર્તનો કરવામાં આવ્યા હતા. પછી શ્રીકૃષ્ણ રૂક્ષ્મણીના પોખરા વિધિવત કરવામાં આવ્યા હતા. પોખણા બાદ તુરંત શ્રીકૃષ્ણ રૂક્ષ્મણીને તેમના સિંહાસન પર બિરાજમાન કરવામાં આવ્યા હતા. પછી શ્રીકૃષ્ણ રૂક્ષ્મણીજીને શીતલ જલ એટલે કે લીંબુ સરબત ધરાવવામાં આવ્યું હતું. આ સરબત સમગ્ર ભકતોમાં બાટવામાં આવ્યું હતું.
માધવ ચોકમાં શ્રીકૃષ્ણ રૂક્ષ્મણીનો જય જયકાર કરી સૌ કોઈ વિખેરાયા હતા.
મેળા અને લગ્ન દરમિયાન એક મીનીટ પણ વીજળી ગઈ ન હતી, પીજીવીસીએલના સ્ટાફ તથા વગેરેની કામગીરી સુંદર હતી.
પોલીસ બંદોબસ્ત સુવ્યવસ્થિત અને ચુસ્ત હતો. મેળા દરમિયાન એક પણ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. દેશ-પરદેશથી ભાવિક ભકતો સંતો મહંતો આવ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy