જામનગર તા.25
દરિયાકાંઠાને લીધે ભેજવાળી હવા અને ખાવડી, મેઘપર, પડાણા, જીઆઈડીસી દરેડ વિસ્તારમાં વિશાળ મજુર વસાહતો ધરાવતા જામનગર તાલુકાના વિસ્તાર અને શહેરના ગીચ વિસ્તારોમાં મચ્છરોનો કહેર નાથવા કોર્પોરેશન અને જિલ્લા પંચાયતનો મેલેરીયા વિભાગ આજે તા.25 એપ્રિલ એટલે મેલેરીયા દિવસની ઉજવણી જુથ બેઠકો, પત્રિકા વિતરણ અને હજારો ઘરોના સર્વેલન્સની તા.30 સુધી ચાલનારી કામગીરી દ્વારા કરી રહ્યો છે. જિલ્લામાં જાન્યુઆરી-2023થી તા. 24 એપ્રિલ-2024 દરમિયાન મચ્છરજન્ય એવા ડેન્ગ્યુ-મેલેરીયા-ચિકનગુનિયાના કુલ 793 કેસ નોંધાઈ ચુક્યા છે.
આજે મેલેરીયા દિવસ નિમિત્તે કોર્પોરેશનના મેલેરીયા વિભાગ દ્વારા શહેરના 12 અર્બન હેલ્થ સેન્ટરોમાં જુથ મીટીંગો, પત્રિકા વિતરણના કાર્યક્રમો થશે. તે સાથે દૈનિક 13 હજાર ઘરોમાં જાંચ થઈ શકે તે રીતે હાઉસ-ટુ-હાઉસ મચ્છરોની ઉત્પતિ અને ઉત્પતિ સ્થાનોના સર્વેની કામગીરી શરુ કરવામાં આવશે. જે તા.30 સુધી ચાલશે. આ દરમિયાન ડેન્ગ્યુના પોકેટ જેવા ગણાતા શહેરના મારવાડાવાસ, ગઢની રાંગના અમુક ગીચ વિસ્તારો, મજુર વસાહતના વિસ્તાર સહિતના ગીચ વિસ્તારોને આવરી લેવાશે. આ જ રીતે જિલ્લાના 417 ગામોને આવરી લેતી કામગીરી પંચાયતનો મેલેરિયા વિભાગ હાથ ધરશે. જે અંતર્ગત તા.રર થી 30 સુધી હાઉસ-ટુ-હાઉસ સર્વે માટે એક ટીમમાં 3 કે ચાર સભ્યો *હોય તેવી 443 ટીમો કામે લાગી છે.
રોગચાળાની વાત કરીએ તો કોર્પોરેશનના મેલેરીયા અધિકારી દીલીપભાઈ પંચાલ જણાવે છે કે, વર્ષ 2023 અને 24ની વાત કરીએ તો શહેરમાં ગત વર્ષમાં મેલેરીયાના 39 અને આ વર્ષે 4 કેસ, ચિકનગુનિયાના ગત વર્ષે 7 અને ચાલુ વર્ષે 4 કેસ, ડેંગ્યુના ગત વર્ષે 142 અને આ વર્ષે 12 કેસ નોંધાયા હતા. જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના મેલેરીયા અધિકારી ડો.સંદીપ રાઠોડ જણાવે છે કે, જિલ્લામાં 2023માં ગ્રામ્ય વિસ્તારોમાં મેલેરીયાના 178 અને ચાલુ વર્ષે 10 કેસ, ડેન્ગ્યુના ગત વર્ષે 380 અને ચાલુ વર્ષે જાન્યુઆરીથી તા.24 એપ્રિલ સુધી 11 અને ચિકનગુનિયાના ગત વર્ષે 00 અને ચાલુ વર્ષે 6 કેસ નોંધાયા હતા. જેમાં કાલાવડના નિકાવા ગામે અન્ય જિલ્લામાંથી આવેલા લોકોનો અને એક સ્થાનિક વ્યક્તિનો સમાવેશ થાય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy