તમામ 25 બેઠક ભાજપને મળવા પર ‘શંકા’ દર્શાવતું સટ્ટાબજાર : બુકીઓના મતે જામનગર લોકસભા બેઠક સલામત

જેનીબેન-ગેનીબેન ‘ભારે પડશે!’ ગુજરાતમાં ‘રાજકીય સટ્ટા’ના ભાવ બદલાયા

Gujarat, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 08 May, 2024 | 03:01 PM
♦ મતદાન બાદ ‘ગણિત બદલાયા’ : ગુજરાતની તમામ બેઠક ભાજપને મળવાનો ભાવ 55 પૈસાથી વધીને એકાએક 90 પૈસા બોલાવા લાગ્યો
સાંજ સમાચાર

♦ અમરેલી તથા બનાસકાંઠામાં ગમે તે ‘ઉંધૂચતૂ’ થઇ શકવાનો મત: હવે વ્યકિતગત બેઠકોમાં પણ જંગી દાવ લાગવા માંડ્યાનો નિર્દેશ

રાજકોટ, તા.8
ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થવા સાથે જ સટ્ટાબજારમાં મોટો બદલાવ જોવા મળ્યો છે. અત્યાર સુધી તમામ આ બેઠક ભાજપને જ મળવાનું નિશ્ર્ચિત માનતું સટ્ટાબજાર હવે બે બેઠક ‘જોખમી’ ગણવા લાગ્યા છે. તમામ 25 બેઠક ભાજપને મળવાનો ભાવ 55 પૈસામાંથી વધીને 90 પૈસા બોલાવા લાગ્યો છે જેનો અર્થ તમામ બેઠકો ભાજપને મળવા પર શંકા છે.

અમરેલીમાં જેનીબેન ઠુમ્મર તથા બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર ગુજરાતમાં ભાજપને તમામ બેઠકો જીતવાની હેટ્રીક સર્જવું અટકાવી શકે છે. દેશમાં લોકસભાની ચૂંટણીના ત્રણ તબકકા પૂર્ણ થયા છે. હજુ ચાર તબકકા બાકી છે છતાં અત્યાર સુધીમાં અર્ધા કરતા વધુ બેઠકોમાં મતદાન સંપન્ન થઇ ગયું છે. આ સાથે સટ્ટા માર્કેટમાં દાવ-સટ્ટો વધવા લાગ્યા છે.

ચૂંટણીમાં કરોડો-અબજો રૂપિયાનો સટ્ટો રમાતો હોવાની જાણીતી વાત છે અને તેમાં રાજકીય નેતાઓ પણ હાથ અજમાવી લેતા હોય છે. લોકલ સીટથી માંડીને રાજ્ય તથા દેશની સીટો પર પણ દાવ લાગતા હોય છે.

ગુજરાતની તમામ બેઠકોમાં મતદાન ખત્મ થઇ જવા સાથે સટ્ટોડિયાઓએ આખરી તારણ કાઢીને ભાવમાં મોટો બદલાવ કર્યો છે. જાણકાર સૂત્રોએ જમાવ્યું છે કે ગુજરાતની તમામ બેઠકો ભાજપને જ મળવાનો અત્યાર સુધી છાતી ઠોકીને દાવો કરાતો હતો. સુરત બેઠક અગાઉ જ બીનહરિફ થઇ ગઇ હતી. બાકીની 25 બેઠકોમાં પણ ભાજપનો વિજય વાવટો ફરકાવાના અનુમાન સાથે સટ્ટાબજારમાં ભાજપનો 55 પૈસાનો ભાવ બોલાતો હતો.

ક્ષત્રિય આંદોલન તથા અન્ય નાના મોટા કારણોથી ઉમેદવારોની લીડ ઘટી શકે પરંતુ પરિણામમાં કોઇ બદલાવ નહીં થવાનું ગણિત હતું પરંતુ ગઇકાલે ચૂંટણી ખત્મ થયા બાદ સટ્ટાબજારના ભાવમાં મોટો બદલાવ થયો છે. તમામ 25 બેઠકો ભાજપને મળવાનો ભાવ 55 પૈસા ચાલતો હતો તે એક જ ઝાટકે વધીને 90 થઇ ગયો હતો. મતદાન પછી ભાવમાં બદલાવને ઘણો સૂચક ગણવામાં આવે છે. સટ્ટોડિયાઓ મતદાનની હટાવારી તથા અન્ય ફેક્ટરને ગણતરીમાં રાખીને આ બદલાવ કરતા હોય છે.

સૂત્રોના કહેવા પ્રમાણે 55 પૈસાના ભાવનો અર્થ ‘એકદમ નિશ્ચિત’ ગણાય છે જ્યારે 90 પૈસા ‘જોખમ’ની શ્રેણીમાં આવે છે. અને તમામ 25 બેઠકો ભાજપને મળવા પર થોડી શંકાનો સંકેત આપે છે.

સટ્ટાબજારમાં એવી વાત છે કે મતદાન પછી અમરેલી તથા બનાસકાંઠાની બેઠકના તારણો બદલાયા છે. અમરેલીમાં ભાજપના ભરત સુતરીયા સામે કોંગ્રેસના જેનીબેન ઠુમ્મરનો મુકાબલો રહ્યો છે. આ બેઠકનું પરિણામ કદાચ ઉંધાચતૂ થઇ શકે છે.

આ જ રીતે બનાસકાંઠાની બેઠક પણ ભાજપને મળવા પર શંકા વ્યકત થવા લાગી છે. આ બેઠક પર કોંગ્રેસના ગેબીબેન ઠાકોર લડયા છે. તેઓએ પ્રચારની શરૂઆત વખતથી જ પ્રચંડ જોર કર્યું હતું.

મહત્વની વાત એ છે કે, સમગ્ર ગુજરાતમાં સરેરાશ મતદાનમાં પાંચ ટકાનો ઘટાડો થયો છે. ત્યારે એક માત્ર બનાસકાંઠાની બેઠકમાં મતદાનમાં વધારો નોંધાયો છે. સામાન્ય રીતે જેટલું મતદાન વધુ થાય એટલી સ્પર્ધા વધુ હોવાનું ગણાય છે. બનાસકાંઠામાં વધેલું મતદાન આ તર્કને આધારે પમ સૂચક છે.

સટ્ટાબજારમાં ભાજપની કુલ બેઠકો 300થી નીચે ઉતરી
ભાજપને 294 થી 297, એનડીએને 327 થી 332 બેઠકોનું અનુમાન: કોંગ્રેસને 65થી67 બેઠકો મળી શકે
રાજકોટ તા.8

દેશમાં અર્ધા કરતા વધુ બેઠકોમાં લોકસભાનું ચૂંટણી મતદાન ખત્મ થઈ ગયુ છે અને ભાજપની સંખ્યા ધીમી ગતિએ ઘટતી હોવાનું ચિત્ર સટ્ટાબજારમાં સર્જાયુ છે. ત્રીજા તબકકાના મતદાન બાદ ભાજપને એકલા હાથે મળવાની સંભવિત બેઠકોની સંખ્યા 300થી નીચે ઉતરી ગઈ છે.

સટ્ટાબજારના સૂત્રોએ કહ્યું કે, ત્રીજા તબકકાની ચૂંટણીના મતદાન બાદ હવે ભાજપને 294 થી 297 બેઠકો મળવાનુ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. ગત સપ્તાહમાં આ સંખ્યા 298 થી 305ની હતી. આની સામે કોંગ્રેસને 65થી67 બેઠકો મળવાનું અનુમાન છે.

સટ્ટાબજારમાં રાજયવાર બેઠકોના આંકડાઓ પર પણ જંગી દાવ ખેલવામાં આવી રહ્યા છે. ગુજરાતની જેમ રાજસ્થાનમાં પણ ગત ટર્મમાં તમામ બેઠકો પર ભાજપની જીત થઈ હતી. આ વખતે 25માંથી ભાજપને 17થી19 બેઠકોનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. ભાજપને 17 બેઠકોનો ભાવ 55થી70 પૈસા બોલાતો હતો જયારે 18 બેઠકનો ભાવ 90 પૈસાથી રૂા.1.20નો હતો.

હરિયાણામાં 10માંથી ભાજપને 5 બેઠક મળવાનું અનુમાન દર્શાવાય છે. પંજાબમાં 13માંથી આપને 6 તથા કોંગ્રેસને 4થી5 તથા ભાજપને 1થી2 બેઠક મળવાનું અનુમાન મુકાય છે.

પાટનગર દિલ્હીમાં ભાજપને 6 બેઠક મળવાનું દર્શાવાય છે. મધ્યપ્રદેશમાં 29માંથી ભાજપને 20થી28 બેઠક મળવાના ભાવ બોલાય છે. તેલંગાણામાં 17માંથી ભાજપને 6, ઉતરાખંડની પાંચેય બેઠક ભાજપને મળવાનું તારણ છે. છતીસગઢમાં 11માંથી ભાજપને 10 સીટ મળી શકે છે. ઝારખંડમાં ભાજપને 10થી12 તથા આંધ્રપ્રદેશમાં 1થી2 બેઠક મળશે. તામિલનાડુમાં 3 બેઠક, કેરળમાં 1થી2 બેઠક હિમાચલમાં તમામ 4 બેઠકનુ અનુમાન છે.

પશ્ચિમ બંગાળમાં ભાજપને 18થી20 તથા તૃણમુલ કોંગ્રેસને 22થી24 બેઠકનુ અનુમાન છે. મહારાષ્ટ્રમાં 48માંથી 24થી26, ઉતરપ્રદેશમાં 80માંથી 66થી68 બેઠક, બિહારમાં 40માંથી 25થી27 બેઠક મળવાનુ અનુમાન છે. કર્ણાટકમાં 28માંથી 18થી20 બેઠક ભાજપને અપાય રહી છે. સટ્ટાબજારના દાવા મુજબ આખા એનડીએની બેઠકો 327થી332 થઈ શકે છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj