♦મૂળ ભાવનગરની ધર્મિષ્ઠા ગોહેલને પિતાએ નોકરીએ જવાની ના કહેતા જિંદગી ટૂંકાવી
♦આણંદપર બાઘીમાં મહેશભાઈ વાઢેરે ગળાફાંસો ખાઈ અંતિમ પગલું ભરી લીધું
રાજકોટ, તા.27
રાજકોટ પંથકમાં યુવતી સહિત ચાર લોકોએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. કારખાનેદાર નિમેષ સખીયાએ ધંધો ન ચાલતા ગળાફાંસો ખાઈ લીધો હતો, મૂળ ભાવનગરની ધર્મિષ્ઠા ગોહેલને પિતાએ નોકરીએ જવાની ના કહેતા જિંદગી ટૂંકાવી હતી. 15 લાખના દેણાંમાં ડૂબેલા રાજેશ ચૌહાણે સુડા વડે પોતાનું જ ગળું કાપી નાખ્યું હતું. આણંદપર બાઘીમાં મહેશભાઈ વાઢેરે ગળાફાંસો ખાઈ અંતિમ પગલું ભરી લીધું હતું.
પ્રથમ બનાવની વિગત મુજબ ધર્મિષ્ઠાબેન રમેશભાઈ ગોહેલ (ઉ.વ.25, રહે. કુવાડવા ગામ) નામની યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં તેઓનાં પરિવારમાં કલ્પાંત છવાયો હતો. ધર્મિષ્ઠા મૂળ ભાવનગરની વતની હતી અને કુવાડવા ગામે ભાડાની ઓરડીમાં રહી ઓનલાઈન કંપનીમાં કામ કરતી હતી, તેના પિતાએ ભાવનગર પાછું આવી જવાનું કહેતાં હતાં અને નોકરી મૂકી દેવાનું પણ કહેતા હતા. જે બાબતે લાગી આવતાં યુવતીએ ગઈકાલે ભાડાની ઓરડીમાં ગળાફાંસો ખાઈ લેતાં તુરંત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. બનાવ અંગે મૃતકના પરિવારમાં ગમગીની છવાઈ છે.
બીજા બનાવની વિગત મુજબ આણંદપર બાઘી ગામે રહેતા મહેશભાઈ આંબાભાઈ વાઢેર (ઉ.વ.50) એ પોતાના ઘરે છતના હુકમાં સાડી બાંધી ગળાફાંસો ખાઈ લેતા તાકિદે પ્રૌઢને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. મૃતક ખેતીકામ કરતા હતાં. સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. જેમાં પુત્ર માનસિક અસ્વસ્થ હોય જેની ચિંતામાં કેટલાક સમયથી ડિપ્રેશનમાં રહેતા હતાં. અને ગઈ કાલે પત્ની અને પુત્રી બહારગામ ગયા હતા. જેથી ઘરે કોઈ ન હતું ત્યારે પ્રૌઢે આ પગલું ભર્યાનું પરિવારજનોએ જણાવ્યું હતું. બનાવ અંગે મૃતકના પરિવારમાં કલ્પાંત છવાયો હતો.
ત્રીજા બનાવમાં નિમેષભાઈ રવજીભાઈ સખીયા (ઉ.વ.45 રહે- શિવનગર ગોંડલ રોડ, રાજકોટ) નામના યુવકે પોતાનાં ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. નિમેષભાઈને પટેલનગર-2 માં હાર્ડવેરનું કારખાનું છે. જે હાર્ડવેરનો વ્યવસાય બરોબર ચાલતો નહતો. જેથી યુવકે ગઈ કાલે પોતાનાં ઘરે ચુંદડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. બાદ યુવકને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર કારગત નીવડે તે પહેલા યુવકે દમ તોડી દિધો હતો. યુવકને સંતાનમાં એક પુત્ર- પુત્રી હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. બનાવથી પરિવારમાં શોક છવાયો છે.
ચોથા બનાવમાં શહેરના રજપૂતપરામાં રહેતા રાજેશભાઈ બટુકભાઈ ચૌહાણ (ઉ.વ.58) નામનાં પ્રૌઢે સોપારી કાપવાના સુડાથી ગળું કાપી આપઘાત કરી લીધો હતો. પ્રૌઢે પાડોશમાં જ મિત્રની દુકાને જઇ અંતિમ પગલું ભરી લીધું હતું. બનાવથી અરેરાટી મચી જવા પામી છે.
રાજેશભાઈ અને તેના પરિવારજનો ટિફિન સર્વિસનું કામ કરી ગુજરાન ચલાવે છે, કોઈ કારણસર રાજેશભાઈએ બેંકમાંથી લોન લીધી હતી અને લોનના વ્યાજ સહિત અંદાજે રૂ.15 લાખનું દેણું થઇ ગયું હતું.લાખોના દેણાને કારણે ત્રણેક દિવસથી રાજેશભાઇ ચિંતામાં રહેતા હતા.ગઈ કાલ સાંજે રાજેશભાઇ નિત્યક્રમ મુજબ પાડોશમાં જ સોપારી કટિંગનું કામ કરતાં તેમના મિત્ર સુરેશભાઈ કરશનભાઈ ચૌહાણની દુકાને બેસવા ગયા હતા. થોડીવાર બેઠા બાદ સુરેશભાઇ ચા લેવા ગયા હતા અને સુરેશભાઈ ચા લઇને પરત ફર્યા ત્યારે રાજેશભાઇ લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા. અને તેમના ગળા પર સોપારી કાપવાનો સૂડો પડયો હતો.
લાખોના દેણાથી કંટાળી પ્રૌઢે આપઘાત કરી લીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. ઘટનાથી ચૌહાણ પરિવાર સ્તબ્ધ થઇ ગયો હતો.ઘટનાની જાણ થતાં એ.ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ બારોટ સહિતની ટીમ દોડી ગઇ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy