રાજકોટ તા.19
જામનગરમાં આગામી તા.21મીના રવિવારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનું જન્મ કલ્યાણક ભવ્ય રીતે ઉજવવામાં આવનાર છે. સૌ પ્રથમવાર શાસનપતિ શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ઉજવણીમાં જામનગરના તમામ સંઘો ભેગા થઈને ભવ્યાતિભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.
તા.21મીના રવિવારે જામનગરમાં બિરાજમાન સર્વ સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં સવારે 6-30 કલાકે ચાંદીબજારથી રથયાત્રાનું પ્રસ્થાન થશે જે વાજતે ગાજતે પારસધામ, બેડીગેઈટ, ટાઉન હોલ, લાલ બંગલો, પોપટ ધારશી, જી.જી. હોસ્પીટલ, ડીકેવી સર્કલ થઈને પેલેસ દેરાસર શ્રી મહાવીર સ્વામી જિનાલયે સંપન્ન થયા બાદ જન્મ કલ્યાણકની સંવેદન કરાવતી જિનવાણીની પ્રસ્તુતિ થશે.
રથયાત્રામાં પ્રભુના બે ચાંદીના રથને ખેંચતા યુવાનો, પ્રભુના બે ચાંદીના રથને પ્રદક્ષિણા આપીને નૃત્ય કરતા સેંકડો યુવાનો, અદ્ભૂત બેન્ડ, 13 ફૂટના માનવો, નવપદના અલગ વર્ણધારી બાઈક સવારો, વિવિધ પાઠશાળાના દીકરા-દીકરીઓની વેશભૂષા, રોડ પર ચાલતુ એરોપ્લેન, લાઈવ રંગોળી, થાળી ભ્રમણ, ચામર નૃત્ય કરતા ટીનએજર્સ, શાસન ધ્વજને લહેરાવતા યુવાનો, રંગેબેરંગી બાંધણીમાં બેડાવાળી બહેનો, શાસન પ્રભાવના કરતી અનુકંપાની વાન, ઈન્દ્ર ધજા તથા સૂર્યચંદ્ર વગેરે સામેલ થશે.
રથયાત્રામાં જામનગરના તમામ જૈન સંઘો જોડાયા છે જેમાં વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સંઘ (પાઠશાળા સંઘ), જામનગર વિશા ઓસવાલ જ્ઞાતિ, શાંતિભુવન જૈન સંઘ, દેવબાગ જૈન સંઘ, અચલ ગચ્છ જૈન સંઘ, ખરતર ગચ્છ જૈન સંઘ, પોપટ ધારશી જૈન સંઘ, ઓશવાલ કોલોની જૈન સંઘ, દિગ્વિજય પ્લોટ જૈન સંઘ, મોહનનગર જૈન સંઘ, જૈન દર્શક ઉપાસક સંઘ (પેલેસ), કામદાર કોલોની જૈન સંઘ, લાલવાડી જૈન સંઘ તથા ચંપા વિહાર જૈન સંઘ વગેરે સામેલ થશે. રથયાત્રાને ભવ્યાતિભવ્ય બનાવવા દરેક સંઘના યુવક મંડળ તથા મહિલા મંડળો જહેમત ઉઠાવી રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy