રાજકોટ,તા.22
લોકસભા ચુંટણીમાં સુરત સંસદીય બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેષ કુંભાણી અને તેના ડમી બંનેનું ફોર્મ રદ થતા જ હવે આ બેઠક પર કોંગ્રેસ સ્પર્ધામાં રહી નથી અને જે રીતે ટેકેદારોએ કોંગ્રેસના ઉમેદવાર કે ડમીના ફોર્મમાં તેમની સહી નથી તેવું જણાવીને આ ઉમેદવારી રદ થાય તે નિશ્ર્ચિત કર્યુ તે પછી કોંગ્રેસ હવે હાઈકોર્ટથી લઈ સુપ્રીમકોર્ટના દ્વાર ખટખટાવવાની તૈયારી કરે છે પરંતુ તેમાં તેને સફળતા મળવાની આશા નહીવત છે.
સુપ્રીમકોર્ટ પણ ચુંટણી પ્રક્રિયા દરમ્યાન ચુંટણી પ્રક્રિયા દરમ્યાન કોઈ આદેશ આપે તેવી શકયતા નથી. સુપ્રીમકોર્ટના ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને દિપાંકર દતાએ ગત વર્ષે એક મહત્વપૂર્ણ ચૂકાદામાં જણાવ્યું હતું કે અમો ચુંટણી રોકી શકીએ નહી. બંધારણની કલમ 329 હેઠળ જો કેસ દાખલ કરવામાં આવે તો અમો પાવરલેસ બની જાઈએ છીએ.
એક વખત ચુંટણી પ્રક્રિયા શરુ થાય પછી બંધારણીય જોગવાઈ મુજબ તેમાં અદાલતી દરમ્યાનગીરી અત્યંત ઓછી થઈ જાય છે અથવા નહીવત હોય છે. આ ચૂકાદો મતવિસ્તારના નવા સિમાંકન અંગેનો હતો અને હાલમાં જ બિહારમાં પણ એક ઉમેદવારનું ફોર્મ રદ થતા તેને સર્વોચ્ચ અદાલત સુધી ધા નાંખી હતી પરંતુ સુપ્રીમકોર્ટે જણાવ્યું કે અમે દરમ્યાનગીરી કરી શકીએ નહી જે ઉમેદવારના ફોર્મ રદ થયા છે અથવા તો ચુંટણી પ્રક્રિયા પ્રત્યે જેને નારાજગી હોય તો તે ઈલેકશન પીટીશન મારફત અદાલત સમક્ષ આવી શકે છે.
તે પણ પહેલા હાઈકોર્ટમાં જવાનું હોઈ છે પરંતુ સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે અમે ચુંટણી પ્રક્રિયા સામે સ્ટે આપી શકીએ નહી. આ માટે સર્વોચ્ચ અદાલતે 1950 અને 1978માં અપાયેલા બે ચુકાદા આગળ ધર્યા હતા. સુપ્રીમકોર્ટે એ પણ જણાવ્યું કે અમારી સતાનો કોઈ ગેરઉપયોગ કરીને લોકશાહી પ્રક્રિયાને સંભાળી શકે છે જે અમે સ્વીકાર્ય થવા દેવા માંગતા નથી.
કોંગ્રેસ પાસે ઈલેકશન પીટીશનનો વિકલ્પ પણ તે પરિણામ જાહેર થયા પછી અદાલત વિચારી શકે
જો કે ઉમેદવારના ટેકેદારોએ જે રીતે પલ્ટી મારી તે મુદે ભૂતકાળમાં હજુ કેસ આવ્યો નહી હોવાની શકયતા
રાજકોટ તા.22
કોંગ્રેસ પક્ષ હવે સુરત મુદે ઈલેકશન પીટીશન કરી શકે છે પરંતુ ચુંટણી પરિણામો જાહેર થયા બાદ તેના પર વિચારણા કરાશે તેવો સંકેત છે. એક વખત ચુંટણી પરિણામો ગેઝેટમાં જાહેર થઈ જાય પછી ચુંટણીપંચની ભૂમિકા પુરી થાય છે અને કોઈ ઉમેદવાર તેવુ માનતો હોય તો તેને પ્રક્રિયામાં અન્યાય થયો છે અથવા ચુંટણી દરમ્યાન કોઈ ગેરરીતિ, ભ્રષ્ટાચાર કે અન્ય રીતે ચુંટણી ખરડાઈ છે અને તેથી તે પરાજીત થયો છે.
રેશમાંથી બહાર નીકળી ગયો છે તો તે ઈલેકશન પીટીશન કરી શકે છે અને પરિણામના 45 દિવસની અંદર તેણે આ અરજી કરવાની રહે છે અને લોકપ્રતિનિધિત્વ કાનૂન 1951 મુજબ હાઈકોર્ટે તેનો છ માસમાં નિકાલ કરવાનો હોય છે. આ માટે અલગ અલગ કારણો પણ હોય છે.
હવે જે રીતે સુરતમાં કોંગ્રેસના ઉમેદવારના ટેકેદારોએ ઉમેદવારીપત્રકમાં સહી કર્યા બાદ આ અમારી સહી નથી અને અમે કોંગ્રેસના નિલેષ કુંભાણીને ટેકો આપતા નથી તેવું સોગંદનામુ કર્યુ તથા ટેકો પાછો ખેંચી લીધો તે મુદો હજુ સુધી કોઈ અદાલતમાં આવ્યો નથી અને તેથી ટેસ્ટ કેશ બને તો પણ આશ્ર્ચર્ય થશે નહી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy