(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 4
સુરેન્દ્રનગરમાં રહેતો યુવાન ગત તા.8મી માર્ચે રાત્રે મિત્રો સાથે ગેટ સ્ટેશન પાસે બેઠો હતો. ત્યારે ચાર શખ્સોએ આવી પ્રેમ સંબંધ મામલે યુવાન પર છરી, ધારિયા, લાકડાના ધોકા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. આ કેસમાં જેલવાસ ભોગવતા આરોપીની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી હતી.
સુરેન્દ્રનગર શહેરના જુની હાઉસીંગમાં આવેલ પાગલબાપુની દરગાહ પાસે રહેતા 19 વર્ષીય સુજલભાઈ ચંદુભાઈ બારૈયા મજુરી કામ કરે છે. તેઓને રતનપરમાં એક યુવતી સાથે ર વર્ષથી પ્રેમ સબંધ છે. તા. 8 માર્ચના રોજ રાત્રે સુજલભાઈ મિત્રો સાથે ગેટ સ્ટેશન નજીક ચર્ચ પાસે બેઠા હતા. ત્યારે પાછળની દીવાલ કુદીને વિશાલ ઉર્ફે અજીત શૈલેષભાઈ મકવાણા, કીશન ભરવાડ, અનીલ ભરવાડ અને એક અજાણ્યો ઈસમ આવ્યા હતા.
જેમાં વિશાલે મારી બહેન સાથે તારે કોઈ વાતચીત કે સબંધ રાખવો નહી તેમ કહી છરીના આડેધડ ઘા કર્યા હતા. જેમાં ઈજા થઈ હતી. જયારે અન્ય ત્રણ શખ્સોએ ધારીયા અને લાકડાના ધોકા અને ઢીકાપાટુનો માર માર્યો હતો. આ સમયે સુજલભાઈના મિત્રો વચ્ચે પડતા હવે જો મારી બહેન સાથે સબંધ રાખ્યો છે તો જીવતો નહી જવા દઈએ તેમ કહી ચારેય જતા રહ્યા હતા. આ અંગે એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં જેલવાસ ભોગવતા અજીત ઉર્ફે વિશાલ શૈલેષભાઈ મકવાણાએ સુરેન્દ્રનગર કોર્ટમાં જામીન પર મુકત થવા અરજી કરી હતી.
આ અરજીની સુનાવણી થતા સરકારી વકીલ પી.જી.રાવલે દલીલો કરતા જણાવ્યુ કે, અરજદાર આ ગુનાનો મુખ્ય આરોપી છે. અરજદાર આરોપી સામે વીવીધ પ ગુના નોંધાયેલા છે.જો તેને જામીન પર મુકત કરાય તો તે ફરીયાદ પક્ષના સાહેદોને તોડે તેમજ ટ્રાયલ સમયે હાજર ન રહે તેવી શકયતા છે. આથી સુરેન્દ્રનગર બીજા એડીશનલ સેશન્સ જજ એ.આર.દેસાઈએ અરજદાર આરોપી અજીત ઉર્ફે વિશાલ શૈલેષભાઈ મકવાણાની જામીન પર મુકત થવાની અરજી નામંજૂર કરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy