◙ ભાજપ માટે ટફ ગણાતી સાબરકાંઠા અને બનાસકાંઠા ઉપરાંત સૌરાષ્ટ્રમાં જામનગર બેઠકને આવરી લીધી
રાજકોટ, તા.25
ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો પ્રચારનો રંગ હવે જામવા લાગ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતનો પ્રવાસ નિશ્ર્ચિત થઇ ગયો છે જેમાં તેઓ તા.1 અને 2 મેના રોજ ગુજરાતમાં 6 જેટલી સભાઓને સંબોધશે અને તા.1 મેના રોજ ગાંધીનગર જ રાત્રી રોકાણ કરીને ગુજરાત ભાજપના નેતાઓ પાસેથી રાજ્યની પરિસ્થિતિ અંગે તાગ મેળવશે.
વડાપ્રધાનના હાલ નિશ્ચિત થયેલા કાર્યાક્રમો મુજબ તા.1ના બપોરે 3-30 વાગ્યે ડીસામાં સભાને સંબોધવાના છે અને તે રીતે તેઓ બનાસકાંઠા અને પાટણ બંને લોકસભા બેઠકને આવરી લે તે રીતે પ્રચાર કરશે. આ માટે ડીસામાં તૈયારીઓ શરુ થઇ ગઇ છે અને એરોડ્રામ ગ્રાઉન્ડ ખાતે મોદીની સભા યોજાશે આ બેઠક પર ભાજપના ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરીનો મુકાબલો કોંગ્રેસના ગેનીબેન ઠાકોર સામે છે.
મોદી બાદમાં સાંજે 5-15 કલાકે હિંમતનગરમાં મોદી ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધવાના છે અને અહીં તેઓ એકી સાથે સાબરકાંઠા ઉપરાંત પાટણ, મહેસાણા અને અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક સુધી મેસેજ જાય તે નિશ્ચિત કરશે. જેમાં ખાસ કરીને સાબરકાંઠાની બેઠકમાં ભાજપે જે રીતે કોંગ્રેસ કુળના શોભનાબેન બારૈયાને ટીકીટ આપી હતી અને આ બેઠક પર તે અગાઉ ઉમેદવાર બદલવા પડ્યા હતા તે પછી હજુ પણ સ્થાનિક રીતે ભાજપના ઠાકોર સમુદાય સહિતના કાર્યાકર્તાઓનો વિરોધ છે અને તેથી વડાપ્રધાનની સભા અહીં ગોઠવાય છે.
આ ઉપરાંત બાદમાં તેઓ તા.2ના રોજ 11 વાગ્યે આણંદ ખાતે શાસ્ત્રી ગ્રાઉન્ડમાં સભાને સંબોધશે. આ બેઠકની સાથે વડાપ્રધાનની આ સભામાં ખેડાને પણ આવરી લેવાશે અને આ બંને બેઠકો ભાજપ માટે સ્કીયોર ગણાય છે. શ્રી મોદી બપોરે 1 વાગ્યે સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે વઢવાણમાં ત્રિમંદિર ગ્રાઉન્ડ સુરેન્દ્રનગર રાજકોટ રોડ પર સભાને સંબોધશે અને અહીંથી સુરેન્દ્રનગર ઉપરાંત રાજકોટ અને ભાવનગર બંને લોકસભા બેઠકને આવરી લેવા તે રીતે મેસેજ આપશે.
સુરેન્દ્રનગર બેઠક પર ભાજપે ચંદુભાઇ શિહોરાને પસંદ કર્યા પછી સ્થાનિક સ્તરે થોડોક વિરોધ હતો પણ તે શમી ગયો હોય તેમ માનવામાં આવે છે. આ ઉપરાંત રાજકોટ લોકસભા બેઠક જે હોટ ટોપીક બની છે. એક તબકકે વડાપ્રધાનની સભા રાજકોટમાં યોજાશે તેવી ગણતરી હતી પરંતુ તેના બદલે મોદીએ સુરેન્દ્રનગર અને જૂનાગઢ ઉપરાંત જામનગરમાં પણ સભાનું આયોજન કરીને ત્રણ તરફથી રાજકોટ જિલ્લાને આવરી લેવાની કૌશિષ કરી છે.
ભાવનગર જિલ્લામાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. અને તેના પર મોદી પ્રભાવ પાડશે. બાદમાં વડાપ્રધાન સાંજે 3-15 કલાકે જૂનાગઢમાં સભાને સંબોધશે આ માટે કૃષિ યુનિ. મેદાન પસંદ કરવામાં આવ્યું છે અને જુનાગઢ જાહેરસભાથી મોદી પોરબંદર-અમરેલી, જામનગર બેઠકને આવરી લેશે. જ્યારે વડાપ્રધાનની સૌરાષ્ટ્ર પ્રવાસની છેલ્લી સભા જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાશે અને તે ઉપરાંત પોરબંદર અને રાજકોટ લોકસભા બેઠકને મેસેજ જાય તેવું નિશ્ચિત કરશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy