રાજકોટ, તા. 18
માલવીયાનગર પોલીસ કસ્ટડીયલ ડેથ કેસમાં આરોપી પોલીસમેન અશ્ર્વિન જેઠા કાનગડ ઘટનાના 4 દિવસ બાદ પણ હજુ પકડાયો નથી. આ પહેલા 48 કલાકમાં આરોપીને પકડી લેવાની શરતે અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો અને પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો હતો. આજે રાત્રે 48 કલાકનું અલ્ટીમેટમ પૂર્ણ થતું હોય, આગળ કઇ રણનીતિ અપનાવવી તે અંગે સમાજના આગેવાનો દ્વારા ચર્ચા-વિચારણા થઇ રહી છે.
ગત તા. 14ની રાત્રીએ એસ.ટી. વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં રહેતા હમીર ઉર્ફે ગોપાલ રાઠોડને પોલીસ વેનમાં ઉઠાવી જવાયો હતો અને પોલીસ સ્ટેશનમાં બેફામ માર મારવામાં આવ્યો હતો. પછી રાત્રે તેને છોડી મુકાતા તે ઘરે પહોંચ્યા બાદ સવારે ન ઉઠતા તેને સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જયાં તા.16ના રોજ તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું. 15 તારીખે પોલીસે હત્યા પ્રયાસનો અને માર માર્યાનો ગુનો દાખલ કર્યો હતો. ઘટના 14મીએ રાત્રે બની હતી. તેમ છતાં આટલા દિવસો બાદ પણ આરોપી એએસઆઇ હજુ સુધી પોલીસ પકકડથી દુર છે.
જુદી જુદી ટીમો તપાસમાં લાગી છે. આરોપીના ઘરે તપાસ કરાતા તેનો પરિવાર ઘરને તાળા મારી કયાંક નીકળી ગયો છે. જયારે આરોપીના મુળ ગામ મોરબી જિલ્લાના માળીયામીંયાણા તાલુકાના જશાપર ગામે તપાસ કરતા ત્યાં પણ આરોપી મળી આવેલ નથી.
આ પહેલા હમીરના મૃત્યુ બાદ મૃતદેહ સ્વીકારવા સમાજ દ્વારા ઇન્કાર કરાયો હતો જોકે હત્યાની કલમ અને એટ્રોસીટીની કલમ ઉમેરવા નામજોગ કોર્ટમાં રીપોર્ટ થતા અને 48 કલાકમાં આરોપીને પકડી લેવાની ખાતરી અપાતા મૃતદેહ સ્વીકારાયો હતો. જોકે હવે પોલીસ દ્વારા આરોપીને ગુરૂવાર બપોર સુધીમાં પકડવામાં આવેલ નથી જેથી આગામી સમયમાં આ મામલે સમાજ દ્વારા કઇ રીતે આંદોલન કરવું તે અંગે આગેવાનો વિચારણા કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જયારે મૃતદેહ સ્વીકારવામાં આવ્યો ત્યારે આગેવાનોએ જણાવ્યું હતું કે જો 48 કલાકમાં આરોપી નહીં પકડાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy