રાજકોટ,તા.23
ગત તા.15/02/2024ના રોજ પોતાના કારખાનામાં જાતે ફીટ કરેલ લીફટ અચાનક બંધ થઈ જઈ ફરી અચાનક ચાલુ થઈ જતા મજુર મહિલાનું માથુ ચગદાય જવાથી નિપજેલ મોતના કેસમાં અધિક સેશન્સ જજ બી.બી.જાદવે કારખાનેદાર પીયુષ દેવચંદભાઈ ખૂંટની રેગ્યુલર જામીન અરજી રદ કરેલ છે. આ કેસની હકીકત એવી છે કે, આરોપી કારખાનેદાર દ્વારા પોતાના કારખાનામાં માલ અને મજુરોની હેરફેર માટે જાતે લીફટ બનાવી ઉપયોગ કરવામાં આવી રહેલ હતો.
તા.15/02/2024ના રોજ આ લીફટ અચાનક અધવચ્ચે બંધ થઈ ગયેલ જેથી લીફટની અંદરની મજુર મહિલાએ પોતાનું માથુ બહાર કાઢી જાણવાની કોશીષ કરેલ તે જ સમયે અચાનક લીફટ ચાલુ થઈ ગયેલ. આમ થવાથી લીફટ અને તેની ઉપરના ભાગેની સીલીંગ વચ્ચે મહિલાનું માથુ ચગદાય ગયેલ.આ બનાવ બનતા મહિલાનું મૃત્યુ થવાથી કારખાનેદાર સામે આઈપીસી કલમ-304 હેઠળ સાપરાધ મનુષ્ય વધનો ગુન્હો નોંધાયેલ અને તેની ધરપકડ કરવામાં આવી હતી.
આરોપી તરફેની જામીન અરજીમાં રજૂઆત કરવામાં આવેલ હતી.કે મહિલાએ પોતે પોતાનું માથુ લીફટની બહાર કાઢેલ તેથી આ બનાવ બનેલ છે. અને તે કારણે આરોપીની જામીન અરજી મંજુર કરવી જોઈએ.સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ એસ.કે.વોરાએ રજૂઆત કરતા જણાવેલ હતું કે લીફટ એક એવુ મીકેનીઝમ છે જેના ઉપયોગ દરમ્યાન કોઈપણ પ્રકારનો અકસ્માત થઈ શકે અને આવા અકસ્માતને નિવારવા માટે સરકારે લીફટ એકટ નામનો કાયદો બનાવેલ છે.
આ કાયદા મુજબ ફકત માન્ય ઈન્ડસ્ટ્રીઝ જ લીફટ બનાવી શકે અને તેઓએ જ આવી લીફટ ફીટ કરવી પડે આ ઉપરાંત લીફટ ઉપયોગનું લાયસન્સ પણ મેળવવાનું હોય છે જે લાયસન્સ વીના લીફટનો ઉપયોગ થઈ શકે નહી અને આ આવુ લાયસન્સ સમયાંતરે રીન્યુ કરાવવાનું હોય છે. આરોપી પીયુષ ખુંટે પોતાના નાણાકીય લાભ ખાતર જાતે જ લીફટ બનાવી તેનો ઉપયોગ કરેલ છે.
લીફટ બનાવવા માટે ની તેમની પાસે કોઈ જ પ્રકારની યોગ્યતા ન હોવાના કારણે એક મજુર મહિલાનું મોત થયેલ છે. આરોપી પોતે ઉદ્યોગપતિ હોવાથી જાણતા હતા કે ઉદ્યોગ ક્ષેત્રમાં અકસ્માતના કારણે કોઈ મજુરનું મૃત્યુ થઈ શકે તેમ છતાં તેઓએ આવી ખામીયુકત લીફટ બનાવેલ જે કોઈ જ કારણ વગર જાતે જ બંધ થઈ ગયેલ અને જાતે જ ચાલુ થઈ ગયેલ.
આ ગુન્હો આરોપીના જ કારખાનામાં બનેલ છે. તેથી પ્રોસીકયુશને વિશેષ કોઈ તત્વો સાબીત કરવાના રહેતા નથી આથી આ આરોપીને આઈપીસી કલમ 304ના ગુન્હા સબબ હાલના તબકકે જ તકસીરવાન ઠરાવી શકાય તેવા પુરતા પુરાવા છે. સરકાર તરફેની આ દલીલના અંતે અધિક સેશન્સ જજ બી.બી.જાદવે પીયુષ ખૂંટની રેગ્યુલર જામીન અરજી રદ કરેલ છે. આ કેસમાં સરકાર તરફે જિ સરકારી વકીલ સંજયભાઈ કે વોરા રોકાયેલ હતાં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy