◙ વિધાનસભાની પેટાચૂંટણી માટે પણ પોરબંદર સહિત બે બેઠકો પર ઉમેદવારી: તા.19 સુધી નોમીનેશન પ્રક્રિયા ચાલશે
રાજકોટ: લોકસભા ચૂંટણીના ત્રીજા તબકકામાં દેશના 18 રાજયની 94 લોકસભા બેઠક પર ગત શુક્રવારથી ઉમેદવારી નોંધાવાતા પ્રારંભમાં હવે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતની તમામ 26 બેઠકો પર આજથી રાજકીય પક્ષોના ઉમેદવારો પોતાના ફોર્મ ભર્યા છે અને તે સાથે લોકસભા ચૂંટણીની ગરમી એક નવા તબકકામાં પ્રવેશી છે.
રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાની ઉમેદવારી સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં ગઈકાલે રાજકોટમાં પ્રચંડ સંમેલન અને તેમાં જે રીતે હવે આ લડાઈ ફકત રાજકોટ જ નહી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં લઈ જવાનો પડકાર ફેકયો પછી ચુંટણી વધુ રસપ્રદ બની છે અને આગામી દિવસમાં ભાજપ આ પડકારનો મુકાબલો કેમ કરશે તેના પર નજર છે તે વચ્ચે આજે પક્ષે સૌરાષ્ટ્રમાં કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવીયાએ પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલની હાજરીમાં એક જબરા રોડ શો સાથે ઉમેદવારી નોંધાવી હતી.
તેની સાથે સુરેન્દ્રનગરમાં પક્ષના ઉમેદવાર ચંદુભાઈ શિહારા, પંચમહાલમાં રાજપાલસિંહ જાદવ તથા વલસાડમાં ડો.ધવલ પટેલ અને ભરૂચમા મનસુખ વસાવાએ વાજતે ગાજતે ઉમેદવારી નોંધાવી હતી તો કોંગ્રેસના બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર સુરેન્દ્રનગરમાં ઋત્વીક મકવાણા, જામનગરમાં જે.પી.મારવીયા અને બારડોલીમાં સિદ્ધાર્થ ચૌધરી ઉમેદવારી નોંધાવી છે તથા સાથોસાથ વિધાનસભાની જે પાંચ બેઠકો પર પેટા ચુંટણીમાં યોજાઈ રહી છે તેમાં પોરબંદરમાંથી અર્જુનભાઈ મોઢવાડીયા અને વાઘોડીયાથી ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ઉમેદવારી નોંધાવી હતી.
ભાજપે એક તબકકે રાજયસભામાં રામનવમીના દિને ઉમેદવારી નોંધાવાની તૈયારી રાખી હતી પરંતુ જે એક બાદ એક બેઠક પર વિવાદો સર્જાયા પછી ભાજપે તા.15થી 19 વચ્ચે અલગ અલગ દિવસે તેના ઉમેદવારોને નોમીનેશન માટે જણાવ્યુ છે. જેમાં તા.19ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહ ગાંધીનગર લોકસભા બેઠક માટે એક જબરા રોડ શો સાથે ઉમેદવારી કરશે.
જેમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ તથા ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ અને ગુજરાત ભાજપના તમામ ટોચના નેતાઓ હાજરી આપશે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તા.18ના રોજ નવસારીથી ઉમેદવારી કરશે જેમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજરી આપે તેવી શકયતા છે. પોરબંદર ઉપરાંત કચ્છ અને સુરત લોકસભા બેઠક પર પક્ષના ઉમેદવાર સાથે રેલીમાં જોડાશે.
ભાજપે આદિવાસી ક્ષેત્રમાં ખાસ કરીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તરફથી પડકાર ફેકાયો છે તેથી કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા અને રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલને પણ ગુજરાતમાં ઉમેદવારી સમયે ડેપ્યુટ કર્યા છે. જેમાં તેઓ છોટા ઉદેપુર તથા બનાસકાંઠામાં હાજરી આપશે.
આજે કોણે કઈ બેઠક માટે ઉમેદવારી નોંધાવી
► પોરબંદર: શ્રી મનસુખ માંડવીયા (ભાજપ)
► સુરેન્દ્રનગર-ભાજપના શ્રી ચંદુભાઈ શિહોરા તથા કોંગ્રેસના શ્રી ઋત્વીક મકવાણા
► પંચમહાલ: રાજદીપસિંહ જાદવ (ભાજપ)
► વલસાડ: ડો. ધવલ પટેલ (ભાજપ)
► ભરૂચ: શ્રી મનસુખ વસાવા (ભાજપ)
► બનાસકાંઠા: ગેનીબેન ઠાકોર (કોંગ્રેસ)
► જામનગર: જે.પી.મારવીયા (કોંગ્રેસ)
► બારડોલી: ડો. સિદ્ધાર્થ ચૌધરી (કોંગ્રેસ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy