અનેક બેઠકો પર ઉમેદવાર સામે અસંતોષમાં ભાજપે ડેમેજ કંટ્રોલ કર્યાનો સંકેત: રાજકોટ હજું ચિંતા

વિવાદના વાવાઝોડા શમી ગયા! ભાજપને વિશ્વાસ; કોંગ્રેસને હજુ લાભની આશા

Gujarat, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 17 April, 2024 | 05:50 PM
ક્ષત્રિય સમાજના તા.19ના પ્લાન-બી પર નજર: અગાઉ જેટલું જ ‘જોર’ બતાવી શકશે! વધશે કે વિરોધ ઢીલો પડી જશે? મિકસ સંકેત: ભાજપ ભાગલાની ફિરાકમાં
સાંજ સમાચાર

► રાજકોટ બેઠક લડવા આવેલા ધાનાણી ‘સ્વાભીમાન-યુદ્ધ’ દર્શાવી મુદો જીવંત રાખવા પ્રયાસ કરે છે: કેટલુ ખેંચી શકાશે તે સૌથી મોટો પ્રશ્ન

► ધાનાણીને લેઉવા ફેકટર કેટલું મદદ કરશે! ભાજપની સંગઠન-નાણા ઉપરાંત અનેક છૂપી તાકાત સામે કોંગ્રેસનું નબળું સંગઠન અને અપુરતા સાધનો તેમજ નેતાઓમાં જૂથવાદ ધાનાણીના માઈનસ પોઈન્ટ

રાજકોટ: લોકસભા ચૂંટણીમાં અચાનક જ એક આવેલા કરન્ટમાં એક તબકકે ભાજપે જાહેર કરેલા ઉમેદવારો સામે સ્થાનિક સ્તરે વિરોધ અને વિવાદ બાદ વડોદરા અને સાબરકાંઠાના ઉમેદવારોને ભાજપે બદલીને નવા ચહેરાને ચુંટણી લડાવીને રોષ શાંત પાડવા કોશીશ કરી હતી ત્યાંજ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ અચાનક જ એક વિવાદનું વાવાઝોડું સર્જી દીધું.

તેઓએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિધાનો ભારતને બુમરેંગ થશે તેવા સંકેત મળતા જ ભાજપે ડેમેજ કંટ્રોલ કરવા રૂપાલા પાસે એક નહી બે-બે વખત માફી મંગાવી છતાં પણ તેમની ઉમેદવારી રદ કરવાની અને તેમના સ્થાને નવા ચહેરાને મુકવા ક્ષત્રિય સમાજની માંગણી નહી સ્વીકારી ભાજપે તેના વિરુદ્ધ આ સમુદાય જાય તો પણ સર્જનારી રાજકીય ચેલેન્જ ઉપાડી લીધી છે તો બીજી તરફ હવે ક્ષત્રિય સમુદાયે ‘રૂપાલા-હટાવ’ માંગણી નહી સ્વીકારાતા ફકત રાજકોટ જ નહી.

રાજયભરમાં ભાજપના ઉમેદવાર સામે વિરોધ કરવાનો જે નિર્ણય કર્યો પણ હજુ સમાજનો પ્લાન ‘બી’ જાહેર નહી કરીને તા.19ની મુદત પાડી છે તે બાદ હવે આ વિવાદનું વાવાઝોડું પણ શમી ગયુ હોવાના સંકેત છે. સૂત્રોના જણાવ્યા મુજબ તા.19 બાદ ક્ષત્રિય સમાજનો વિરોધ કેટલો ઉગ્ર બની શકે છે તે પણ પ્રશ્ન છે અને એક તબકકે આ વિવાદી કોંગ્રેસ પક્ષને ચુંટણી લડવાનું ‘બળ’ મળ્યું છે ત્યાં જે સંકેત હતા તેમાં પણ કોંગ્રેસ કેટલો ફાયદો ઉઠાવી શકશે તેના પર ચર્ચા છે.

રાજકોટ લડાઈ થોડી જીવંત બની શકે
રાજકોટ લોકસભા બેઠક પર ‘રૂપાલા હટાવ’ નારાને ભાજપે ફગાવ્યો પછી આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે પરેશ ધાનાણી હવે આ લડાઈને ‘સ્વાભિમાન-યુદ્ધ’માં પલટાવવા પ્રયાસ કર્યા છે અને તેઓ ક્ષત્રિય સમાજ ઉપરાંત લેઉવા પાટીદાર સમાજ જેમાં પણ જેઓ ‘રૂપાલા’ ફેકટરથી નારાજ છે. તેઓને સાથ મળી રહેશે તેવી આશા સાથે પ્રચાર કરશે. જો કે સમગ્ર ગુજરાતની જેમ જ રાજકોટ કોંગ્રેસનું સંગઠન નબળુ છે અને તે પણ વિભાજીત છે તેથી ધાનાણીને કેટલો બેકઅપ મળશે તે પણ પ્રશ્ન છે.

ચુંટણી પ્રચારના સંગઠનની નાણા અને આયોજનના મોરચે તો તેમાં ભાજપ કે પરસોતમ રૂપાલાને પહોંચી જ શકે નહી તે નિશ્ચિત છે. રૂપાલાએ અગાઉ જ વિવિધ સમાજ- વ્યાપારી સંગઠનો અને સમાજની સાથે ‘સ્નેહ-મિલન’ કરીને બાજી સુધારવાનો પ્રયાસ કર્યો છે પણ હજું આંતરિક રીતે રહેલો ક્ષત્રિય આક્રોશ કેટલો સપાટી પર આવે છે અને તે કેટલી અસર કરે છે તેના પર નજર છે. ક્ષત્રિય આંદોલનના પ્લાન-બી પર ભાજપની પણ નજર છે અને પક્ષ દ્વારા હવે આ આંદોલનમાં ભાગલા પડાવવાની કોશિશ થાય તેવી પણ શકયતા છે. ખાસ કરીને જો ક્ષત્રિય સમાજ એક રહી શકશે તો ચોકકસપણે ભાજપને ચિંતા થઈ શકે છે.

► બે-પાંચ-દસ મુઠ્ઠીભર લોકો સિવાય... રૂપાલાના ખાસ ગણાતા મનિષ ભટ્ટે કરેલા નિવેદનથી ભારેલા અગ્નિમાં ઘી હોંમ્યું!
          ક્ષત્રિય સમાજના વિશાળ સંમેલનને મુઠ્ઠીભરનું કામ ગણાવતા હવે નવો વિવાદ સર્જાવાની ધારણા

રાજકોટ લોકસભા બેઠક પર ચુંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર પરસોતમભાઈ રૂપાલાની નજીક ગણાતા શહેર ભાજપના પુર્વ મંત્રી મનીષ ભટ્ટે ગઈકાલે આપેલી એક ‘બાઈટ’ વિવાદાસ્પદ બની છે. ગઈકાલે નોમીનેશન બાદ તેઓએ એક વાતચીતમાં કહ્યું કે બે-પાંચ-દશ મુઠ્ઠીભર લોકો સિવાય ક્ષત્રિય સમાજ રૂપાલા સાથે છે અને તે તમે જોઈ શકો છો. આમ કહીને તેણે ગત રવિવારે રાજકોટમાં ક્ષત્રિય સમાજનું જે સંમેલન મળ્યું હતું તેમાં હાજરી અંગે ખુદ સરકારી તંત્ર પણ લાખોની વાત કરે છે

તે સમયે રૂપાલા સામે વિરોધમાં બે-પાંચ-દશ મુઠ્ઠીભરની વાત મનીષ ભટ્ટે કરતા જ હવે ક્ષત્રિય સમાજમાં તે વિધાન વાયરલ થતા નવી મુસીબત બન્યુ છે. જો કે બાદમાં ભટ્ટે સોરી સોરી કહી દીધુ હતું પણ રૂપાલાના વિધાનો ચગી રહ્યા છે તેવું જ હવે મનીષ ભટ્ટ માટે થયું છે.

► ભાજપના ક્ષત્રિય અગ્રણીઓ પાર્ટી લાઈનમાં આવવા લાગ્યા
રાજકોટ લોકસભા બેઠક પર ક્ષત્રિય સમાજ અંગેના વિધાનોથી ભાજપના ક્ષત્રિય નેતાઓ માટે પણ બચાવ કરવો મુશ્કેલ બની ગયો હતો અને સમાધાનમાં જોડાયેલા અનેક નેતાઓ ખુદ કચવાટ અનુભવતા હતા તેમાં જાહેરમાં સૌપ્રથમ બોલનાર ગુજરાત ભાજપના પુર્વ પ્રમુખ અને પુર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા પણ હવે પક્ષની લાઈન બોલવા લાગ્યા છે.

તેઓએ અગાઉ ક્ષત્રિય સમાજના સંમેલનમાં રૂપાલાના વિધાનો હૃદય સોસરવા ઉતરી ગયા હોવાનું જણાવ્યું હતું અને સંકલન સમીતી જે કાંઈ નિર્ણય લેશે તે માન્ય રાખવાની પણ જાહેરાત ક્ષત્રિય સભામાં જ કરી હતી પરંતુ હવે તેઓ ભાવનગર સંસદીય બેઠક પર ભાજપના પ્રચારમાં જોડાઈ ગયા છે અને તેઓને ભાજપે મંચ પર બેસાડીને ક્ષત્રિય સમાજને પણ સંદેશો આપવાની કોશિશ કરી હોવાની ચર્ચા ભાવનગર ભાજપમાં છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj