(વિપુલ હિરાણી)
ભાવનગર, તા.16
ભાવનગરના કાળિયાબીડ, ભગવતી સર્કલ નજીક આવેલ શાંતિનગર-2 માં રહેતા વણિક પરિવારના બે સાગા ભાઈઓના બાજુ બાજુમાં આવેલ બે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ઘરની અંદર રાખેલ સોના ચાંદીના ઘરેણાં તેમજ રોકડ રકમ મળી કુલ રૂ. પોણા બે લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બંને ભાઈઓ તેમના પરિવાર સાથે હવેલી એ દર્શન કરવા ગયા તે દરમિયાન બે કલાકના ટૂંકા ગાળામાં જ તસ્કરો ચોરીને અંજામ આપી ફરાર થઈ જતા નીલમબાગ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ચોરીના આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરના કાળિયાબીડ, ભગવતી સર્કલ પાસે આવેલ શાંતિનગર-2,પ્લોટ નં.3377/સી માં રહેતા અને કુકર અને મિક્સર રીપેરીંગનું કામકાજ કરતા અશ્ર્વિનભાઈ મણીભાઈ શ્રીમાંકર એ સ્થાનિક નિલમબાગ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, તેઓ તેમજ તેમની બાજુમાં રહેતા તેમના મોટાભાઈ પંકજભાઈ મણીલાલ શ્રીમાંકર પરિવાર સાથે બંનેના ઘરને તાળું મારીને સરદારનગરમાં આવેલ આવેલી હવેલી ખાતે દર્શન કરવા ગયા હતા અને દર્શન કરીને પરત ફર્યા હતા.
તે દરમિયાન બે કલાકના ટૂંકા ગાળામાં કોઈ અજાણ્યા તસ્કરોએ તેમના બંને મકાનના મુખ્ય દરવાજાના નકુચા તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરના બંને રૂમમાં રાખેલ લાકડાના કબાટ તોડી કબાટમાં રાખેલ સામાન વેરવિખેર કરી નાખ્યો હતો અને રૂ.65,000/- રોકડા તેમજ સોનાની બુટ્ટી જોડી નંગ-001, સોનાની વીંટી નંગ-02, ચાંદીના છડાની જોડી નંગ-02 તથા ચાંદીના સેટ નંગ-02 મળી કુલ રૂ. 999,000/- ની ચોરી કરી હતી.
તેમજ બાજુમાં આવેલ તેમના સગા મોટાભાઈ પંકજભાઈના મકાનમાંથી પણ લાકડાના કબાટમાં રાખેલ રોકડા રૂ.28,000/- સોનાનો એક ચેઇન તેમજ ચાંદીનો એક ચેઇન મળી કુલ રૂ. 79,000/- અને બંને મકાનમાંથી મળી કુલ રૂ.1,78,000/- ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
ચોરીની આ ઘટના અંગે નિલમબાગ પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ તપાસ હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy