કંટાળેલા યુવાને ગઈકાલે પોલીસ કમિશ્નર કચેરીએ ફિનાઇલ પી-લીધું ’તું: બી. ડિવિઝન પોલીસે અંકિત અને રાજન પટેલ વિરૂદ્ધ મનીલેન્ડ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી

બે વ્યાજખોરોએ બજરંગ પાર્કના યુવકના પરિવારના એકાઉન્ટ પડાવી દુબઈથી ટ્રાન્જેકશન કરાવ્યાં

Crime | Rajkot | 24 April, 2024 | 04:57 PM
સલૂન ચલાવતાં અમિત હીરાણીએ માતાપિતાના દાડો કરવા માટે લીધેલ રૂા.60 હજાર વ્યાજ સહિત ચૂકવી દીધા છતાં 5 લાખની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપી
સાંજ સમાચાર

રાજકોટ. તા.24
 

બજરંગ પાર્કના યુવકે તેના માતાપિતાના દાળા માટે લીધેલ રૂ.60 હજાર વ્યાજ સહિત ચૂકવી દિધા છતાં બે વ્યાજખોરોએ 5 લાખની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપી પરિવારના એકાઉન્ટ પડાવી દુબઈથી ટ્રાન્જેકશન કરાવ્યાં હતાં. અંતે કંટાળેલા યુવાને ગઈકાલે પોલીસ કમિશ્નર કચેરીએ ફિનાઇલ પી-લીધું હતું. બનાવ અંગે બી. ડિવિઝન પોલીસે અંકિત અને રાજન પટેલ વિરૂદ્ધ મનીલેન્ડ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

બનાવ અંગે મોરબી રોડ પર બજરંગ પાર્ક શેરી નં.4 માં રહેતાં અમીતભાઇ કાંતિલાલ હિરાણી  (ઉ.વ.36)  એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અંકિત મનુ પટેલ અને રાજન મનુ પટેલનું નામ આપતાં બી.ડિવિઝન પોલીસે મનીલેન્ડ એકટની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ પત્નિ અને બે પુત્ર સાથે રહે છે. દોઢ વર્ષ પહેલા તેમના માતાનું અવસાન થતાં તેમની પાછળની શેરીમાં રહેતા અંકિત પટેલ જે વ્યાજે રૂપીયા આપતાં હોય તેની પાસેથી તેમની માતાનો દાડો કરવા માટે રૂ.20 હજાર 10 ટકા વ્યાજે લીધેલ હતા. બાદમાં રૂપિયા તેઓએ તેના પિતા હસ્તક અંકિતને પરત કરી દીધેલ હતાં. આશરે પાંચેક મહિના બાદ તેમના પિતાનું  પણ અવસાન થતાં તેમના દાડા માટે મારે રૂપિયાની જરૂરીયાત પડતા અંકિત પાસેથી રૂ. 40 હજાર 10 ટકા વ્યાજે રૂપિયા લીધેલ હતા. સાતેક મહિના અંકિતને રોકડામાં વ્યાજ ચુકવેલ અને ત્યારબાદ વ્યાજ સહીતનાં તમામ રૂપિયા તેમને ચુકવી આપેલ હતાં.

છતાં પણ અંકિતે કહેલ કે, તારે હજુ રૂ.1.50 લાખ  ચુકવવાના થાય છે અને જો તારે આ રકમ ન ચુકવી હોય તો અમારે બેડી યાર્ડમાં ઘંઉનો ટાર્ગેટ પુરો કરવાનો છે જેથી તારા તથા તારા સગા વ્હાલાનાં બેંક એકાઉન્ટ આઠથી દસ દિવસ માટે ખોલાવી દે તેવું કહેતાં તેઓ તેની પત્નિ સુજાતા, સસરા-સાસુ સાથે માર્કેટીંગ યાર્ડ બેડી ગયેલા અને તત્યાં એક ચેમ્બરમાં બીજા માળે ઓફીસમાં બોલાવેલ અને  બધાના આધારકાર્ડ,પાનકાર્ડ સાથે લાઇવ ફોટો પાડી  બેંકમાં એક એક લાખવાળા સેવિંગ એકાઉન્ટ ખોલાવેલ હતાં. ત્યાંજ ઇન્ડ્રુસલેન્ડ બેંકની વેલકમ કીટ આપેલ હતી. બધા પાસેની ચેકબુકમાંથી પાંચ પાંચ કોરા ચેકમાં સહી કરાવેલ અને તે ચેક લઇ લીધેલ હતાં. તેમજ પર્સનલ બેંકનો એક-એક ચેક માંગેલ હતો. જેથી તેઓએ અને તેના સસરાએ ચેક આપેલ હતાં.

બાદમાં તેઓના ખાતામાં એક-એક લાખ રૂપિયા નાખવા માટે રાજન પટેલે તેના ભાઈ અંકિતને જણાવેલ હતું. જે બાદ ગૌતમભાઈ ડાયાભાઇ કારસીયાએ ચારેયના ખાતામાં એક-એક લાખ રૂપિયા નાખવા માટેની વાત કરેલ હતી. દોઢેક મહીના બાદ ગૌતમભાઈ ધરે આવેલ અને કહેલ કે, તમારા ચારેયના ખાતા ચાલેલ નથી અને ચારેયની ચેક બુક, એ.ટી.એમ, ક્રેડીટ કાર્ડ તથા પાસબુક પરત આપી ગયેલ અને ત્રણેક દિવસ બાદ રાજન  પટેલે શરીમાં બોલાવેલ અને ત્યાં અંકિતભાઈ અને ગૌતમ હાજર હતા અને કહેલ કે, તમારા ખોલાવેલ બેંક એકાઉન્ટ ચાલેલ નથી. તમારે બીજા એકાઉન્ટ ખોલાવવા પડશે જેથી તેઓ પત્ની સાથે હું લીમડા ચોક ખાતે ગયેલ અને ત્યાં ચારેયના દસ-દસ હજારનાં સેવિંગ એકાઉન્ટ ખોલાવેલ હતા.

બાદમાં દંપતીને રૂ.5 હજાર વાપરવા માટે આપેલ હતા. પંદર-વિસ દિવસ બાદ તેમને ખાતું પરત આપવાનું કહેતાં આરોપીઓ ગોળ ગોળ વાતો કહેલ અને આ  દરમ્યાન તેઓએ ખાતામાથી અલગ-અલગ જગ્યાએથી રૂપિયા ઉપાડેલ અને તેણીના પત્નિના ખાતામાંથી દુબઇથી રૂપિયા ઉપાડેલ હતાં અને   ચેક પરત આપેલ નહીં અને કહેલ કે, તારે વ્યાજ દેવુ છે કે અમે તમારા ચેક બાઉન્સ કરાવીએ જેથી આરોપીને કહેલ કે, મારી પાસે હાલ રૂપિયાની સગવડ થાય તેમ નથી તેવી વાત કરતા તેઓએ કહેલ કે, તારે ગમે તેમ કરી અમારા રૂપિયા તો પરત આપવા જ પડશે અને જો તારાથી રૂપિયાની સગવડ થઇ શકે તેમ ન હોય તો મને દુબઇથી ટ્રાન્જેકશન કરવા દે તેવી વાત કરતા તેને ના પાડતા અંકિતે કહેલ કે, તારે દોઢ લાખના પાંચ છ લાખ રૂપિયા ગમે તેમ કરીને લઇને જ રહીશુ તેમ વાત કરેલ હતી. બાદમાં તેઓએ આઠેય એકાઉન્ટના સ્ટેટમેન્ટ કઢાવતા જાણવા મળેલ કે, દરેક ખાતામાં આશરે 16 થી 20 લાખના ટ્રાન્જેકશન થયેલ છે.

બાદમાં આરોપી બંધુ પાસેથી લીધેલા 10 ટકા વ્યાજે રૂ.20 હજાર તેમજ રૂ.40 હજારનું સાતેક મહિના વ્યાજ ચુકવેલ બાદ મુદલ પણ ચુકવી આપેલ છતા વધું પાંચેક લાખ રૂપિયાની માંગણી કરી ગઈકાલે તેઓની મોરબી રોડ પર આવેલ એ. કે.સલૂન નામની દુકાન પર બંને શખ્સો આવી કહેલ કે, અમારા રૂ.પાંચેક લાખ આપી દેજે નહીં તો જાન થી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. જેથી તેનું લાગી આવતાં તેઓએ પોલીસ કમીશ્નર કચેરીએ  ફીનાઇલ પી લીધેલ હતું. બાદમાં તેઓને સારવારમાં ખસેડવામાં આવેલ હતાં.

♦ક્રાઇમ બ્રાન્ચમાં અરજી આપી પણ કાર્યવાહી ન થઈ: યુવકની પત્નીનો આક્ષેપ
રાજકોટ. તા.24
મોરબી રોડ પર બજરંગ પાર્કમાં રહેતાં અમિત હિરાણીએ વ્યાજખોરના ત્રાસથી કંટાળી આપઘાતનો પ્રયાસ કરતાં તેની પત્નીએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, આરોપીઓ વિરૂદ્ધ તેના પતિએ ઘણાં સમય પહેલાં ક્રાઇમ બ્રાન્ચમાં અરજી પણ આપી હતી. જે મામલે તેઓએ કોઈ કાર્યવાહી ન કરતાં અંતે આ પગલું ભરવાનો વારો આવ્યો છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj