(મનિશ ઘેલાણી) ભાણવડ તા.20 ભાણવડ પંથકમાં દાયકાઓ પહેલા ગાયોના ધણને બચાવવા માટે કહેવાતા બહારવટીયાઓ સામે જાનની બાજી લગાવી ગૌરવભેર શહીદી વ્હોરી લેનાર વીર માંગડાવાળાની પુણ્યતિથિની ભૂતવડ દાદા મંદિર દ્વારા ભકિતરસ માહોલમાં ઉજવણી થઈ હતી. ઠેર ઠેરથી ભાવિકોના ઘોડાપુર ઉમટયા હતા. ધાર્મિક કાર્યક્રમને લઈને સવારથી જ ભાવિકોમાં ભારે ઉત્સાહ છવાયો હતો. પ્રારંભમાં હવન (યજ્ઞ) બાદમાં બીડુ હોમાયું હતું. આ તકે સાંજે મહાપ્રસાદ યોજાતા જેમાં સ્થાનિક ભાણવડ વિસ્તાર તેમજ ઠેર ઠેરથી ભાવિકો લાભ લેવા પહોંચ્યા હતા. મહાપ્રસાદ પૂર્ણ થયા બાદ રાત્રે સૌરાષ્ટ્ર કચ્છની અસ્મિતા સમાન કસુંબલ લોકડાયરો યોજાતા જેમાં લોક કલાના માહીર હમીરભાઈ ગઢવી, સાગરદાન ગઢવી, ગગન જેઠવા, સચિન બારોટ, સિધ્ધાર્થ આહીર સહીતના કલાકારોએ રાતભર કલાના કામણ પાથરી હજારો દર્શકોને ડોલાવી દીધા હતા. અત્રે સૌથી નોંધનીય બાબત એ છે કે ભાણવડનાં પાદરમાં આવેલું ભૂતવડ દાદાનું મંદિર ખુબજ પ્રચલીત છે ઠેર ઠેરથી ભાવિકો દર્શન માટે બારેમાસ આવતા હોય છે પરંતુ વીર માંગળાવાળાની પુણ્યતિથિના દિને તો ભાવિકોના ઘોડાપુર ઉમટે છે. સમગ્ર કાર્યક્રમ માટે ભૂતવડ દાદા મંદિર ટ્રસ્ટના ગાદીપતી હંસા મહારાજ તેમજ ભાવેશ બાપુના માર્ગદર્શન હેઠળ સેવાભાવીઓએ વ્યવસ્થા સંભાળી હતી, પોલીસે બંદોબસ્ત જાળવ્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy