વેરાવળ, તા.18
ઉનાળામાં સર્જાતી આ સમસ્યાને ધ્યાનમાં લઈ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં પાણી સમિતિની બેઠકમાં આ અંગેની આગોતરી વ્યવસ્થા કરી જિલ્લામાં એક પણ ગામમાં પાણીની સમસ્યા ના સર્જાય તે માટેનું આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લાના ગામોમાં પૂરતું પીવાનું પાણી મળી રહે તે માટે જિલ્લામાં જૂથ પાણી પુરવઠા યોજનાઓ ઉપરાંત સંપમાંથી તથા લોકલ સોર્સમાંથી પાણી મેળવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. અને જ્યાં આ વ્યવસ્થાઓ શક્ય નથી તેવા 15 ગામોમાં ટેન્કરથી પણ પૂરતું પીવાનું પાણી મળે તે માટેની વ્યવસ્થાઓ સુનિશ્ર્ચિત કરવામાં આવી છે.
આ અંગેના આંકડાઓ જોઈએ તો, ગીર સોમનાથ જિલ્લામાં 380 ગામો પૈકી 271 ગામોને જૂદી જૂદી 9 જૂથ પાણી પૂરવઠા યોજનાઓમાં સામેલ કરવામાં આવ્યા છે. જેમાં 184 ગામોને પાણી પૂરવઠા બોર્ડ દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે. જ્યારે બાકીના 87 ગામમાં લોકલ સોર્સથી પાણી પૂરું પાડવામાં આવે છે. બાકીના 109 ગામ સ્વતંત્ર પાણી પૂરવઠા યોજના ધરાવે છે. જે પોતાની રીતે કૂવા, બોર અને હેન્ડપંપ આધારિત વ્યક્તિગત પાણી પૂરવઠા યોજનાથી પાણી મેળવી રહ્યાં છે.
કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલ પાણી સમિતિની બેઠકમાં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, સુત્રાપાડા, તાલાલા, કોડિનાર, ઉના અને ગીરગઢડાના ગામોમાં સંભવિત પાણીની સમસ્યાને નિવારવા માટે વિવિધ કાર્યયોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. તે અંતર્ગત જિલ્લાના 15 ગામોમાં ટેન્કરથી પાણી પૂરું પાડવામાં આવે છે.
ગીર ગઢડા તાલુકાના ફરેડા જૂથ ગ્રામ પંચાયત અંતર્ગતના બાબરિયા અને જૂના ઝાંખિયા ગામનો સમાવેશ બેડિયા-મચ્છુન્દ્રી જૂથ પાણી પૂરવઠા યોજના હેઠળ થાય છે. ફરેડાની 1580ની વસ્તીને દ્રોણેશ્ર્વર પીકઅપ વિયર પાસે આવેલા કૂવામાંથી પમ્પિંગ કરીને એકાંતરા ગામની વસ્તીને નિયમિત પાણી પૂરું પાડવામાં આવે છે. એ જ રીતે ઝાંખિયા ગામની 819ની વસ્તીને લોકલ સોર્સમાંથી પાણી મેળવીને પાણી પૂરું પાડવામાં આવે છે.
આ રીતે જિલ્લામાં નાગરિકોને ગરમીના દિવસોમાં પણ પાણીની સમસ્યા ન સર્જાય અને નિયમિત પૂરતું પીવાનું પાણી મળી રહે તે માટે જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતા હેઠળની પાણી સમિતિએ સુચારૂ પગલાં લીધા છે. જેને લીધે જિલ્લામાં પાણીને લગતી કોઈ મોટી સમસ્યા ઉભી થઈ નથી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy