(ધર્મેશ કલ્યાણી દ્વારા),
જસદણ તા. 16
સૌરાષ્ટ્રમાં શ્રીનાથજીના તીર્થ તરીકે પ્રસિદ્ધ જસદણની શ્રીનાથજીની હવેલીમાં યમુનાજીનું પ્રાગટ્ય મહોત્સવ ત્રણ વૈષ્ણવાચાર્યની ઉપસ્થિતિમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાયો હતો.
જસદણની શ્રીનાથજી હવેલીનાં પ્રમુખ કિરીટભાઈ પટેલની યાદીમાં જણાવ્યા મુજબ હવેલી ટ્રસ્ટમાં ચાલતા શ્રી હીરાબેન ચંદુલાલ પટેલ યમુનાજી પ્રાગટ્ય મહોત્સવ ફંડના ઉપક્રમે શ્રી યમુના મહારાણીજીનો પ્રાગટ્ય મહોત્સવ સપ્તમ પિઠાધીશ્વર ગો. 108 શ્રી વ્રજેશકુમારજી મહારાજ, સપ્તમપીઠ યુવરાજ ગો.શ્રી અનિરુદ્ધલાલજી મહોદય તથા ગોસ્વામી શ્રી રસરાજકુમાર મહોદય તથા ઇન્દુમતી વહુજી મહારાજની ઉપસ્થિતિમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાયો હતો. આ પ્રસંગે ત્રણેય વૈષ્ણવાચાર્યએ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાય, ભક્તિ માર્ગ, સેવા માર્ગ તથા યમુનાજી અંગે પ્રવચન આપ્યા હતા.
હવેલીના પ્રમુખ કિરીટભાઈ પટેલ, ઉપપ્રમુખ કમલેશભાઈ ચોલેરા, ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ બાબરીયા, ટ્રસ્ટી ભરતભાઈ ધારૈયા, ટ્રસ્ટી બટુકભાઈ તન્ના, ટ્રસ્ટી અશોકભાઈ મહેતા, મંત્રી ધર્મેશભાઈ કલ્યાણી, સહમંત્રી નિલેશભાઈ રાઠોડ, સહમંત્રી સાગરભાઇ દોશી, ખજાનચી ચંદુભાઈ વડોદરીયા, કિશોરભાઈ ગઢવી સહિતના હોદ્દેદારોએ પૂજ્ય મહારાજને માલાજી અર્પણ કરીને સ્વાગત કર્યું હતું. નંદ મહોત્સવ, રાજભોગ દર્શન દરમિયાન કીર્તનીયાઓએ કીર્તનની રમઝટ બોલાવી હતી.
પૂજ્ય મહારાજશ્રીના હસ્તે ઠાકોરજીને આરતી ઉતારવામાં આવી હતી. મુખ્યાજી ઘનશ્યામભાઈ જોશીએ ઠાકોરજીને સુંદર શ્રુગાર કર્યા હતા. રાજભોગના દર્શન બાદ મોટી સંખ્યામાં વૈષ્ણવોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. હવેલીમાં ચાલતા યમુના મહિલા મંડળના બહેનો દ્વારા સાંજે યમુનાષ્ટકના પાઠ તેમજ સત્સંગ યોજાયા હતા. હવેલીના પ્રમુખ કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે એક સાથે વલ્લભકુળના ત્રણ મહારાજશ્રી તથા વહુંજી જસદણ હવેલીમાં પધાર્યા હોય તેવી આ પ્રથમ ઘટના હોવાથી વૈષ્ણવોમાં ખૂબ જ ઉત્સાહ હતો. વૈષ્ણવોએ નંદ મહોત્સવ, દર્શન, પ્રવચન, મહાપ્રસાદ સહિતના અલૌકિક મનોરથનો દિવ્ય લાભ લીધો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy