(કુંજન રાડિયા) જામ ખંભાળિયા, તા.6
દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા વાલાભાઈ મુરાભાઈ સુમાત નામના 49 વર્ષના ચારણ યુવાન પોતાના ઘરમાં આવેલા ઈલેક્ટ્રીકના બોર્ડમાં પ્લગ ભરાવવા જતા તેમને જોરદાર વિજ કરંટ લાગ્યો હતો. જેથી તેમને મૂર્છિત અવસ્થામાં સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ વિજાભાઈ હરિયાભાઈ સુમાતએ દ્વારકા પોલીસને કરી છે.
આપઘાત
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામના વાડી વિસ્તારમાં રહેતા ભીખુભાઈ મંડોરા નામના 30 વર્ષના યુવાને તેમજ રાણ ગામના જમનભાઈ રૂડાભાઈ પરમાર નામના 63 વર્ષના સતવારા પ્રૌઢએ અગમ્ય કારણોસર ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હોવા અંગેની જાણ સ્થાનિક પોલીસમાં કરાઈ છે.
જુગાર
મીઠાપુર નજીક આવેલા ભીમરાણા ગામેથી પોલીસે જાહેરમાં ગંજીપાના વડે તીનપતિ નામનો જુગાર રમી રહેલા બબાભાઈ નરભેરામ સરપદડીયા, રાજેશ કમાભાઈ થારૂ, સંજય પ્રકાશભાઈ સરપદડીયા, મમતાબેન પ્રવીણભાઈ વાઝા અને બિંદુબેન મનીષભાઈ સરપદડિયાને ઝડપી લઈ, રૂપિયા 12,270 નો મુદ્દામાલ કબજે કરી જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.
ધમકી
ખંભાળિયા તાલુકાના હંજરાપર ગામના પાટીયા પાસે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા પ્રવીણભાઈ બાબુભાઈ કણજારીયા નામના 28 વર્ષના યુવાન શનિવારે પોતાની વાડીમાં ટ્રેકટરમાં ધૂળ ભરી અને પારો બાંધવા જઈ રહ્યા હતા, ત્યારે તેમનું ટ્રેકટર રોકી અને આ જ વિસ્તારમાં રહેતા જયેશ શામજીભાઈ કણજારીયા, છગન માંડણભાઈ કણજારીયા, પ્રવીણ છગનભાઈ કણજારીયા અને નીતિન છગનભાઈ કણજારીયા નામના ચાર શખ્સોએ ઢીકા-પાટુ તેમજ લાકડાના ધોકા વડે માર મારી, બિભત્સ ગાળો કાઢીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, ત્રણ આરોપીઓની અટકાયત કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy