SANJ SAMACHAR | Date: 29-06-2024 Saturday | Rajkot |
www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net |
નવી દિલ્હી, તા.29
દિલ્હીમાં ભારે વરસાદથી જળબંબાકાર જેવી હાલત અને એરપોર્ટના ટર્મીનલ-1ની છતનો ભાગ તૂટી પડતા એક વ્યકિતના મૃત્યુની ઘટનાને લઇ રાજકારણ શરૂ થયું છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટવીટર પર ’ભાજપનું ચંદા લો, ધંધા દો ભ્રષ્ટાચારી મોડેલ ઉઘાડું પડ્યું છે.’ તેવો પ્રહાર કર્યો છે.
પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટની ઘટના પર દુ:ખ વ્યક્ત કરી મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એકસ’ પર લખ્યું કે, ’માર્ચમાં વડાપ્રધાને દિલ્હી એરપોર્ટ ટર્મિનલ-1નું ઉદ્ઘાટન કર્યું હતું, તેની છત તૂટી પડી છે. જેમાં એક કેબ ડ્રાઈવરનું મોત થયું હતું. ત્રણ મહિના પહેલા વડાપ્રધાન દ્વારા ઉદ્ઘાટન કરાયેલા જબલપુર એરપોર્ટની છત પણ પડી ગઈ હતી.’
‘અયોધ્યામાં નિર્માણ કાર્યની ખરાબ હાલતથી સમગ્ર દેશ દુ:ખી છે. આ ભાજપનું ચંદા લો, ધંધા દોનું ભ્રષ્ટાચારી મોડલ છે, જે હવે ઉઘાડું પડ્યું છે. સવાલ એ છે કે શું મંત્રીજી નબળા બાંધકામ અને આ ભ્રષ્ટાચારી મોડલની જવાબદારી કોણ લેશે?’
ઉમા ભારતીની પ્રતિક્રિયા
પ્રિયંકા ગાંધીની આ ટિપ્પણી પર ભાજપના દિગ્ગજ નેતા ઉમા ભારતીએ પ્રતિક્રિયા આપતા પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના શાસન દરમિયાન ગ્વાલિયરમાં લાદવામાં આવેલી ઈમરજન્સીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ’જ્યારે આ દેશ પર પ્રિયંકા ગાંધીના પરિવારનું શાસન હતું. ત્યારે ઈમરજન્સી લાદવાને કારણે આખો દેશ સ્તબ્ધ થઈ ગયો હતો. લોકશાહીની સંસ્થાઓ બંધ હતી. લાખો લોકોને જેલમાં ધકેલી દીધા હતા.’