![]() |
![]() SANJ SAMACHAR | Date: 28-06-2024 Friday | Rajkot |
|
નવી દિલ્હી,તા.28
પુરા વિશ્વમાં જલવાયુ પરિવર્તનના કારણે આ વખતે હિટવેવનો પ્રભાવ ખૂબ દેખાયો છે. કલાઈમેટ સેન્ટ્રલના તાજેતરના અહેવાલ મુજબ જુનના નવ દિવસ (16-24 જૂન) દરમિયાન ભારતમાં લુના કારણે 62 કરોડ લોકો પ્રભાવિત થયા છે જયારે દુનિયામાં પાંચ અબજ લોકોએ લુની સ્થિતિનો સામનો કરવો પડયો છે.
અહેવાલમાં જણાવાયુ છે કે, જે પ્રકારે જૂનમાં લૂ વરસી તેવી હાલત સદીમાં બે વખત થતી હતી પરંતુ હવે દર ત્રણ વર્ષે આવી હાલત થવા લાગી છે. લુનો સામનો દુનિયાના 60 ટકા એટલે કે 4.97 અબજ લોકોએ કર્યો છે.
ભારતમાં પહેલી વખત રાત્રીનું તાપમાન 37 ડીગ્રી સુધી પહોંચ્યું છે. ભારતમાં 40 હજારથી વધુ લોકો બિમાર પડયાના કિસ્સા આ સમયમાં બહાર આવ્યા હતા તો ચીનમાં 57 કરોડ લોકો પ્રભાવિત થયા છે. સાઉદી અરેબિયા સહિતના ઘણા દેશોમાં મહતમ તાપમાન 50 ડીગ્રી પર પહોંચી ગયું હતું.
ભારતમાં 61.9 કરોડ, ચીનમાં 57.9 કરોડ, ઈન્ડોનેશિયામાં 23.1 કરોડ, નાઈઝીરીયામાં 20.6 કરોડ, બ્રાઝીલમાં 17.6 કરોડ લોકો લૂની ઝપેટમાં આવ્યા હતા. ઠંડા યુરોપીયન દેશોમાં પણ 15.2 કરોડ લોકોને લૂની અસર થઈ છે. બાંગ્લાદેશમાં 17.1 કરોડ, મેકસીકોમાં 12.3 કરોડ, ઈથોપીયામાં 12.1 કરોડ, ઈજીપ્તમાં 10.3 કરોડ લોકો લૂથી પ્રભાવિત થયા હતા.
કલાઈમેટ ચેન્જના રિપોર્ટમાં દર્શાવાયુ છે કે ભારત સહિત અનેક દેશોમાં તાપમાન 50 ડીગ્રી પાર કરી ગયું હતું. ભારતમાં પહેલી વખત 16થી24 જૂન વચ્ચે વરસેલી લૂનો અભ્યાસ કરવામાં આવ્યો છે. ‘જીવાશ્મ’ ઈંધણ પણ હીટવેવ માટે વધુ જવાબદાર માનવામાં આવે છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે, 16થી24 જૂનના સૌથી ગરમ દિવસોમાં બિમાર પડનારા 40 હજાર લોકો પૈકી 100થી વધુ લોકોના તો મૃત્યુ થઈ ચૂકયા છે. રાત્રે ભારે ગરમીના કારણે ઘરવિહોણા લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે. જૂન મહિનામાં ભારતમાં સૌથી લાંબો હીટવેવ ચાલ્યો હતો.