![]() |
![]() SANJ SAMACHAR | Date: 22-05-2024 Wednesday | Rajkot |
|
કોલકતા, તા. 22
ભારતમાં તબીબી સારવાર માટે આવેલા બાંગ્લાદેશના સાંસદ અનવારૂલ અજીમ અનાર કેટલાક દિવસોથી રહસ્યમય રીતે લાપતા બની જતા સુરક્ષા તંત્ર ખળભળી ઉઠયું છે અને મોટા પાયે તપાસ શરૂ કરવામાં આવી છે.
બાંગ્લાદેશના દુતાવાસ દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું છે કે, પોતાના દેશના સાંસદ ગત 12મી મેના રોજ તબીબી સારવાર માટે કોલકતા આવ્યા હતા અને 13મી મેથી જ લાપતા બન્યા છે. તેઓ કલકતામાં પોતાના મિત્રના નિવાસ સ્થાને રોકાયા હતા. મિત્રના ઘરેથી કોઇને મળવાનું હોવાનું કહીને નીકળ્યા હતા.
પરંતુ ત્યારપછી પાછા આવ્યા ન હતા અને ત્યારથી તેમનો કોઇ અતોપતો નથી. બાંગ્લાદેશના સાંસદના મિત્ર દ્વારા જ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમનું મોબાઇલ લોકેશન ટ્રેસ કરવામાં આવતા છેલ્લું બિહારનું હોવાનું બહાર આવ્યું છે.
સાંસદના પરિવારજનોએ એમ જણાવ્યું છે કે, લાપતા બન્યાના બે દિવસ સુધી તેઓ કુટુંબ અને પોતાની પાર્ટીના નેતાઓ સાથે પણ સંપર્કમાં હતા પરંતુ ત્યારબાદ કોઇ અતોપતો નથી. મોબાઇલ લોકેશન બિહારમાં નીકળ્યાના પગલે બિહાર પોલીસની પણ મદદ લેવામાં આવી રહી છે. બાંગ્લાદેશના સાંસદ ર014થી સતત ત્રણ વખત સંસદમાં ચૂંટાયા હતા.