SANJ SAMACHAR | Date: 11-06-2024 Tuesday | Rajkot |
www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net |
મુંબઈ,તા.11
મહારાષ્ટ્રમાં અજિત પવારે ગતવર્ષે પોતાના કાકા શરદ પવારનો વિદ્રોહ કરી નવો પક્ષ રચી ચૂંટણી લડી હતી. જો કે, હવે તેઓ પોતાના કાકાના વખાણ કરતાં નજરે ચડ્યા છે. તેમજ તેમની વિચારસરણી કાકા તરફથી જ મળી હોવાનું જણાવતાં તેમાં ક્યારેય ફેરફાર નહીં થાય તેવુ નિવેદન આપ્યું છે.
અજિત પવાર જૂથે શરદ પવારનો વિરોધ કરતાં નવો પક્ષ રચી ચૂંટણી લડી હતી, જેમાં એક જ બેઠક પર જીત મળી હતી. તદુપરાંત બારામતી લોકસભા બેઠક પર અજિત પવારના પત્નિ સુનેત્રને સુપ્રિયા સુલેની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જેને અજિત પવાર મોટો ઝટકો તરીકે જોઈ રહ્યા છે.
અજિત પવારે સોમવારે એનસીપીને 25 વર્ષ પૂર્ણ થવાના અવસર પર શરદ પવારના વખાણ કર્યા હતા. અજિત પવારે કહ્યું કે, શરદ પવારને સોનિયા ગાંધીના વિદેશી મૂળના મુદ્દાથી અલગ થઈ નવા પક્ષની રચના કરી હતી, ત્યારથી તેઓ પક્ષનું નેતૃત્વ કરી રહ્યા છે. અને આ સંગઠનને દિશા આપી રહ્યા છે. જૂન, 2023માં શરદ પવારથી જુદા થયા બાદ અજિત પવારે પ્રથમ વખત તેમના વખાણ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, શરદ પવાર જૂથને 10 બેઠક પર જીત હાંસલ કરી છે.
અજિત પવારે એનડીએ સાથે પોતાના સંબંધો અને મોદી સરકારમાં મંત્રી પદ ન લેવા અંગે સ્પષ્ટતા કરી છે કે, અમારૂ કહેવુ હતુ કે, પ્રફુલ પટેલ પહેલાથી જ કેબિનેટ મંત્રી પદે હતા, તો તે હવે રાજ્ય મંત્રી કેમ બને. અમે વધુ સમય રાહ જોઈશું. તેમજ 15 ઓગસ્ટ પહેલાં જ અમારી રાજ્યસભામાં એકને બદલે ત્રણ બેઠક થશે.
અજિત પવારે કહ્યું કે, ભાજપ અને એકનાથ શિંદે સેના સાથે હોય પરંતુ અમારી વિચારધારામાં કોઈ ફેરફાર થયો નથી. અમારી વિચારધારા એ છે, મહાત્મા ફુલે, ભીમરાવ આંબેડકર અને શાહૂજી મહારાજે જે માર્ગ ચીંધ્યો હતો અમે તે માર્ગે ચાલીશું.