www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

અમિત શાહ કાલે અમદાવાદમાં યોગદિનની ઉજવણીમાં જોડાશે


કેન્દ્રમાં ફરી ગૃહમંત્રી પદ સંભાળ્યા બાદ આજે સાંજે આગમન: કોઈ રાજકીય કાર્યક્રમ-મીટીંગ નહીં

સાંજ સમાચાર

ગાંધીનગર,તા.20
ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાથી બીજી વખત અને 7.44 લાખની વિક્રમી લીડ સાથે વિજયી થનાર તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં ત્રીજી વખત એનડીએ સરકારે શાસન ધુરા સંભાળી છે તેમાં કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રાલયની બીજી વખત જવાબદારી સંભાળનાર અમીતભાઈ શાહ આજે ગુરુવારે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે.

જો કે, રાજકોટ અગ્નિકાંડને પગલે ભાજપે ગુજરાતમાં વિજયોત્સવ કે કોઈપણ પ્રકારની ઉજવણી નહીં કરવાની જાહેરાત કરી હોવાથી આજે સાંજે એરપોર્ટ ખાતે કોઈ ભવ્ય સ્વાગત વગેરે કાર્યક્રમ યોજાનાર નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનના પગલે વિશ્વભરમાં 21 જૂનના રોજ યોગ દિનની ઉજવણી થઈ રહી છે. તેની દસમી શ્રેણી શુક્રવારે યોજાનાર છે, એમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઈ શાહ બોડકદેવ વિસ્તારમાં આવેલ ગોટિલા ગાર્ડન ખાતે હાજરી આપનાર છે.

રાજયકક્ષાનો કાર્યક્રમ બનાસકાંઠાના સરહદી ગામ નડાબેટ ખાતે બીએસએફના સહયોગથી યોજાનાર છે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજરી આપનાર છે.

શુક્રવારે બપોર પછી અમીતભાઈ શાહ પોતાના મતવિસ્તારના નારણપુરા, વસ્ત્રાપુરમાં અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન સંચાલીત સ્માર્ટ સ્કુલોની મુલાકાત લેશે. આ ઉપરાંત 30 જેટલી સ્માર્ટ સ્કુલોનું ઈ લોકાર્પણ કેન્દ્રીય મંત્રીના હસ્તે થનાર છે.

નારણપુરા અનુપમ સ્કુલના પટાંગણમાં જ યોજાનાર કાર્યક્રમમાં અમીતભાઈ એક જાહેરસભાને સંબોધન કરશે. અમીતભાઈની મુલાકાત દરમિયાન અન્ય કોઈ રાજકીય બેઠકો યોજાનાર નથી.

Print