![]() |
![]() SANJ SAMACHAR | Date: 06-06-2024 Thursday | Rajkot |
|
ન્યુ દિલ્હી,તા.6
લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. એનડીએ બહુમતી સાથે જીત્યું છે. સરકાર બનાવવા માટે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આ બધા એવા ઉમેદવારોની વાત કરી રહ્યા છે જેઓ જેલમાં છે અને ચૂંટણી પણ જીત્યા છે.
આસામની ડિબ્રુગઢ જેલમાં બંધ ખાલિસ્તાન સમર્થક અને વારસપંજાબનાં નેતા અમૃતપાલ સિંહે ખડુર સાહિબ લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતી છે. આ સાથે 5 વર્ષથી જેલમાં બંધ કાશ્મીરી નેતા અબ્દુલ રશીદ પણ ચૂંટણી જીત્યા છે. અબ્દુલ રશીદ અપક્ષ હોવા છતાં બારામુલ્લા લોકસભા સીટ પરથી ચૂંટણી જીત્યા હતા અને ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા ઓમર અબ્દુલ્લાને હરાવ્યા હતા.
અમૃતપાલ સિંહ હોય કે અબ્દુલ રશીદ, બંને આતંકવાદી પ્રવૃતિઓમાં સંડોવાયેલા છે અને દેશના અલગ-અલગ જિલ્લાઓમાં બંધ છે, પરંતુ આ બધા વચ્ચે ત્રણ મોટી વાત એ છે કે શું આ બંને શપથ લઈ શકશે? તે જેલમાંથી મુક્ત થશે? કે પછી જેલમાં રહીને સરકાર ચલાવશે?
જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951 મુજબ, 18 વર્ષની ઉંમરનો કોઈ પણ ભારતીય સ્વસ્થ મન અને સ્વાસ્થ્ય ધરાવતો વ્યક્તિ ચૂંટણી પ્રક્રિયાનો ભાગ બની શકે છે. જેલમાં કે કાયદાકીય કસ્ટડીમાં હોય તેવા કેદીઓ પણ આ શ્રેણીમાં આવે છે, જ્યાં સુધી આરોપો સાબિત ન થયા હોય ત્યાં સુધી ચૂંટણી લડી શકે.
2013માં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો સાંસદો અને ધારાસભ્યો કોઈ અપરાધમાં દોષી સાબિત થાય છે તો તેમણે તરત જ તેમના પદ છોડવા પડશે. અબ્દુલ રશીદ પર લાગેલા આરોપોની વાત કરીએ તો તે UAPA હેઠળ જેલમાં છે. 2019માં NIAએ ટેરર ફંડિંગના આરોપમાં રાશિદની ધરપકડ કરી હતી.
અમૃતપાલ સિંહ NSA હેઠળ જેલમાં છે. આ બંને દેશની સુરક્ષાનું ઉલ્લંઘન કરવા જેવા ગુનામાં જેલમાં છે. તમને જણાવી દઈએ કે જેલમાં બંધ લોકસભાના સભ્યો ઓનલાઈન બેસી શકે છે. પરંતુ તે સંસદના સત્રમાં ભાગ લઈ શકશે નહીં. આ સિવાય તે જનતા સાથે સીધો સંવાદ પણ કરી શકતો નથી.