www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોરબીની મચ્છુ નદીના કાંઠે BAPS મંદિરનું દબાણ: હોનારતની ભીતી: કલેક્ટરની નોટીસ


♦મંદિર નિર્માણની કામગીરી સામે જાગૃત નાગરિકોની રજૂઆત: નુકસાન થાય તેવું બાંધકામ થતું હશે તો અટકાવાશે: રજૂઆતમાં મંદિરના બાંધકામના કારણે નદીની પહોળાઇ ઘટી રહ્યાનો ઉલ્લેખ: વધુ વરસાદ પડે તો જોખમ: તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ

સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ)  મોરબી તા.13
મોરબીમાં મચ્છુ નદીના કાંઠે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા મંદિર બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે અને તે કામગીરી દરમિયાન મચ્છુ નદીની પહોળાઈ ઘટી રહી હોવાથી ભવિષ્યમાં વધુ વરસાદના કારણે હોનારત થાય તેવી શક્યતા છે જેથી કરીને આ બાબતે જિલ્લા કલેકટરને અરજી કરવામાં આવેલ હોય કલેક્ટર દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો છે અને તપાસના રિપોર્ટના અંતે માલિકીની જગ્યામાં પણ જો લોકોને નુકસાન થાય તેવું બાંધકામ કરવામાં આવતું હશે તો તેને રોકવા માટે સૂચના આપવામાં આવશે અને અન્યથા સંસ્થાની સામે કાર્યવાહી કરાશે તેવું કલેકટરે જણાવેલ છે.

વર્ષ 2022 ના 10 માં મહિનાની 30 તારીખે મોરબીમાં જુલતો પુલ તૂટી પડ્યો હતો અને તેની બાજુમાં જુલતા પુલના કાંઠે છેલ્લા ઘણા સમયથી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા મંદિર બનાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે દરમિયાન દિલીપભાઈ અગેચાણીયા, કે.ડી. પંચાસરા સહિતના ચાર અરજદાર દ્વારા કલેકટરને લેખિત અરજી કરવામાં આવી છે અને મચ્છુ નદીમાં જે બાંધકામ સ્વામી નારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે તેને લઈને નદીની પહોળાઈ ઘટી રહી છે અને ભવિષ્યમાં વધુ વરસાદ પડે ત્યારે હોનારતની પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતા તેમણે અરજીમાં વ્યક્ત કરી છે.

મોરબીની મચ્છુ નદીના પટમાં સ્વામી નારાયણ મંદિરની કમ્પાઉન્ડ વોલન બનાવવામાં આવેલ છે જેની સામે કરવામાં આવેલ અરજીને ધ્યાને લઇને કલેકટરે નદીના કાંઠે બાંધકામ થઈ રહ્યુ હોય નદીની પહોળાઈ ઘટી રહી છે કે કેમ? કાયદેસરની જગ્યા છે કે કેમ? તે સહિતની તપાસ માટે પ્રાંત અધિકારી, સિટી મામલતદાર, ઉકછ અને ચીફ ઓફિસરની ટીમ બનાવી છે અને તપાસ કરીને પાંચ દિવસમાં રીપોર્ટ આપવા માટે કલેકટરે આદેશ કર્યો હતો જો કે, અધિકારીઓએ તપાસ કરીને રીપોર્ટ રજુ કર્યો ન હતો જેથી કરીને આ મુદો સમાચાર મધ્યમમાં આવતા તાત્કાલિક માપણી કરવા માટે ટીમ ત્યાં દોડી આવી હતી અને માપણીનું કામ પૂરું કરવામાં આવ્યું છે અને આવતીકાલે પ્રાંત અધિકારીને રિપોર્ટ આપવામાં આવશે ત્યાર બાદ ફાઇનલ રિપોર્ટ કલેક્ટરને આપવામાં આવશે.

મચ્છુ નદીના કાંઠે થઇ રહેલ વધારાના બાંધકામની મંજુરી ન હોવાની પ્રાથમિક વિગતો સામે આવેલ છે. જેથી કરીને નગર દ્વારા નોટિસ આપવામાં આવી હતી જેમાં જણાવ્યુ હતું કે, મોરબી ગામના રે.સ.ન.માં 17/પૈકી2, 18/ પૈકી 1, 18 / પૈકી 2, 20 / પૈકી4 / પૈકી 2 માં ધાર્મિક હેતુનું બાંધકામ કરવામાં આવે છે તેની પાલિકામાંથી મંજૂરી મળેલ નથી અને પાલિકાની પૂર્વ મંજૂરી વગર બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે જેથી કરીને ગુજરાત ટાઉન પ્લાનિંગ અને અર્બન ડેવલપમેન્ટ એકટની કલમ-36 અન્વયે ગેરકાયદે બાંધકામને 30 દિવસમાં સ્વ ખર્ચે અને જોખમે હટાવવા માટે કહેવામા આવ્યું છે જો કે, સંસ્થાની સાથે જોડાયેલ વ્યક્તિ પાસેથી મળેલ માહિતી મુજબ બાંધકામ મંજરી માટે પાલિકામાં અરજી અગાઉ કરી દેવામાં આવેલ છે જે હાલમાં પેન્ડિંગ છે.

હાલમાં જે અરજી કરેલ છે તેને ગંભીરતાથી લઇને કલેક્ટર દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યા છે અને તપાસનો રિપોર્ટ આવ્યા બાદ જો માલિકની જગ્યામાં પણ લોકોને નુકસાન થાય તે રીતનું કોઈ પણ પ્રકારનું બાંધકામ કરવામાં આવતું હશે તો તે બાંધકામ રોકવા માટે થઈને પહેલા સૂચના આપવામાં આવશે અને સૂચનાની અમલવારી સંસ્થા દ્વારા નહીં કરવામાં આવે તો સ્વામિનારાયણ સંસ્થા સામે પણ કાર્યવાહી કરાશે તેવું જિલ્લા કલેકટર એ જણાવ્યું છે.

મોરબીમાં ભૂતકાળમાં એક જીવલેણ દુર્ઘટના સર્જાઈ ગઈ છે જેમાં 135 લોકોએ પોતાના જેવું ગુમાવ્યા છે તેમજ વર્ષો પહેલા 1989 માં જે મચ્છુ હોનારતની ઘટના બની હતી તેમાં હાજરોની સંખ્યામાં લોકોના મોત નિપજ્યા હતા જેથી કરીને આગામી દિવસોમાં કોઈ ગોજારી ઘટના કે હોનારત ન સર્જાય તે માટે થઈને અરજદારો દ્વારા કરવામાં આવેલ અરજીને ધ્યાને લઈને લોકોની સુખાકારી અને સલામતીને ધ્યાનમાં રાખીને કામગીરી કરવામાં આવી રહી છે.

Print