![]() |
![]() SANJ SAMACHAR | Date: 28-06-2024 Friday | Rajkot |
|
રાજકોટ તા.28
શહેરની ભાગોળે આવેલ ઈશ્વરીયા પાર્કના વિકાસ માટે વહીવટી તંત્રે ફરી કમ્મર કસી છે. જેમાં આ પાર્કમાં આઠ હજાર વૃક્ષોનું વાવેતર શરૂ કરવામાં આવેલ છે.
કલેકટર પ્રભવ જોશીએ ગઈકાલે ઈશ્ર્વરીયા પાર્કની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ તકે તેમની સાથે પ્રાંત-1 અધિકારી ચાંદની પરમાર તેમજ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ મુલાકાત દરમિયાન કલેકટર પ્રભવ જોશી દ્વારા ઈશ્વરીયા પાર્કના ડેવલોપમેન્ટ માટે જરૂરી સુચનો અધિકારીઓને આપેલ હતા. જેમાં આ પાર્ક ડેવલોપ કરી તે પ્રવાસીઓ-સહેલાણીઓમાં આકર્ષણનું કેન્દ્ર બને તેવું આયોજન કરવા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું.
અહીં એ ઉલ્લેખનીય છે કે શહેરની ભાગોળે આવેલ આ રમણીય ઈશ્વરીયા પાર્ક 77 એકર જગ્યામાં પથરાયેલો છે. મ્યુઝીકલ ફાઉન્ટેન આ પાર્કની શોભામાં અભિવૃધ્ધિ કરે છે. હાલ આ પાર્કને વધુ હરીયાળુ બનાવવા માટે પાર્કના ગેટ નં.2 પાસે 8000 વૃક્ષોનું વાવેતર શરૂ કરી દેવામાં આવેલ છે.
અગાઉ પણ કલેકટર પ્રભવ જોશીએ ઈશ્વરીયા પાર્ક ખાતે બેઠક યોજી આ પાર્કની જાળવણી, નવા બાંધકામો, પ્રોજેકટ અંગેની માહિતી મેળવી હતી. તેમજ બાળકો માટે હીંચકા, મુલાકાતીઓ માટે શૌચાલય, સાઈનબોર્ડ લાઈટીંગ વગેરે સુવિધામાં સમારકામ તાત્કાલીક ધોરણે કરવા સુચના આપી હીંચકાઓના મરામત કામ કરાવેલ હતા.