![]() |
![]() SANJ SAMACHAR | Date: 29-06-2024 Saturday | Rajkot |
|
જામ ખંભાળિયા, તા. 29
ખંભાળિયા - પોરબંદર હાઈવે પર આવેલા તાલુકાના ભાડથર, કેશોદ, શેરડી, સહિતના જુદા જુદા ગામોમાં છેલ્લા પાંચેક દિવસથી વ્યાપક પ્રમાણમાં વીજ ધાંધીયા હોવાના કારણે સર્જાયેલી અંધારપટની પરિસ્થિતિથી કંટાળી ગયેલા ગ્રામજનો, ખેડૂતોએ ગુરુવારે રાત્રે સ્થાનિક સબ સ્ટેશન પર હલ્લાબોલ કરતા પોલીસને બોલાવી પડી હતી વીજ ધાંધિયાથી કંટાળેલા ગ્રામજનો તેમજ ખેડૂતો વચ્ચે અહીં ઉગ્ર બોલાચાલી થઈ હતી. ફોલ્ટ હોય તો કારણ પૂછવા ફોન લગાડતા ગ્રામજનોના ફોન કર્મચારીઓ ન ઉપાડતા હોવાની વ્યાપક ફરિયાદ લોકોએ ઉપસ્થિત પોલીસની હાજરીમાં વીજ કર્મચારીઓને કરી હતી.
જે અંગે "આ અમારો પર્સનલ ફોન છે. ઉપાડવો હોય તો ઉપાડીએ"- તેમ કહેતા લોકો વધુ રોષે ભરાયા હતા પાંચેક દિવસથી આ વિસ્તારમાં ફોલ્ટ સર્જાવવાના કારણે વીજ પુરવઠો બંધ છે તેમ કર્મચારીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું. તેની સામે ગ્રામજનોએ કહ્યું હતું કે ફોલ્ટ હોય તો ભલે હોય, વીજ પુરવઠો ચાલુ કરો. આથી ફોલ્ટમાં કહેવાતી આ વીજ લાઈનનો પુરવઠો ચાલુ થઈ જતા ગ્રામજનોમાં દેકારો બોલી ગયો હતો. આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી છે.ચોમાસામાં ફોલ્ટ હોય તો સ્વીકાર્ય પરંતુ વગર ફોલ્ટે વીજ લાઈનો બંધ કરનારા કર્મચારીઓ સામે તપાસ તેમજ પગલાની માંગ ગ્રામજનોએ કરી છે.
(ફોટો:- કુંજન રાડિયા)