![]() |
![]() SANJ SAMACHAR | Date: 24-05-2024 Friday | Rajkot |
|
રાજકોટ, તા.24
પડધરીના ફતેપરમાં અશ્ર્વિન પરસોત્તમભાઈ ગજેરા (ઉં.વ.36)ની હત્યા થયા અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેની ગણતરીની કલાકોમાં જ પડધરી પીએસઆઇ જી. જે ઝાલા અને તેમની ટીમે ચાર શખ્સને દબોચી લીધા હતા. આરોપી અશોક છગન બાળા (ઉ.વ.36), ભરત આયદાન બાળા(ઉં. વ.32), સંદીપ માણદાન બાળા(ઉં. વ.28), ધાર્મિક મેણંદ બાળા(ઉં. વ.25)ની ધરપકડ કરી લેવાઈ છે.
હત્યાના ગુનાની વિગત અનુસાર તા.18ના રોજ રાતે ફતેપરના અશોક બાળા, વણપરીના ભરત બાળા અને અજાણ્યા બે શખ્સોએ અશ્ર્વિનને તેની જ વાડીમાં બેફામ ધોકા પાઈપથી માર મારેલ હતો. ગામની જ એક મહિલા સામુ મૃતક જોતો હોવાની શંકાએ માર મારી પોલીસ ફરિયાદ કરીશ તો તને અને તારી માતાને જાનથી મારી નાખીશું તેવી આરોપીઓએ ધમકી આપી હતી.
જેથી માર માર્યાના બનાવ બાદ મૃતકે ફરિયાદ નોંધાવી નહોતી. આ પછી મૃતક ખૂબ ડરી ગયો હોય, રાત્રે હોસ્પિટલમાં સારવાર લીધી નહોતી. વહેલી સવારે તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તા.22ના રોજ સારવારમાં તેનું મોત થતા મૃતકના માતા રમાબેન પરસોત્તમભાઈ ગજેરા (ઉ.વ.60, રહે ફતેપર)એ પડધરી પોલીસ મથેકે ફરિયાદ આપતા આઇપીસી કલમ 302, 325, 506(2), 447, 120(બી), જી.પી.એક્ટ 135 મુજબ ગુનો દાખલ થયો હતો.
ગુનો દાખલ થતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને ગઈકાલે સાંજે ચારેય આરોપીની ધરપકડ કરી હતી. હવે પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.