![]() |
![]() SANJ SAMACHAR | Date: 24-05-2024 Friday | Rajkot |
|
સાગર સોલંકી/ ધર્મેન્દ્ર બાબરીયા
ધોરાજી, તા. 24
ધોરાજીની જનતાને નિયમિત પાણી વિતરણ નહીં કરાય તો ઉગ્ર આંદોલનના મંડાણ કરાશે તેવી ચેતવણી રાજકોટ જિલ્લા આમ આદમી પાર્ટીના મંત્રી અને ધોરાજીના ઇન્ચાર્જ કાંતિલાલ સોંદરવાએ આપી છે.
આ અંગે કાંતિલાલ સોંદરવાએ જણાવેલ છે કે ધોરાજીમાં છેલ્લા ઘણા સમયથી જનતાને સાતથી આઠ દિવસે ડહોળુ અને ગંદા પાણીનું વિતરણ થઇ રહ્યું છે. જે જનતાના આરોગ્ય સાથે ગંભીર ચેડા કહી શકાય તેમ છે. જનતાને પાણી પીવા માટેનો ફિલ્ટર પ્લાન છેલ્લા સાત આઠ વર્ષથી બંધ હાલતમાં છે. જેના કારણે ગંદુ અને ડહોળુ પાણી વિતરણ થઇ રહ્યું છે.
જેમાં બ્લીચીન પાઉડરનું પ્રમાણ ખુબ જ ઓછું હોય છે. જનતાને પાણી પીવા માટેના જળાશયો ફોફળ ડેમ અને ભાદર-2માં પાણીનો પુરતો જથ્થો હોવા છતાં પુરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપાડવા માટે કે પહોંચાડવા માટે રાજય સરકાર કે ધોરાજી નગરપાલિકાએ કોઇ જાતના પગલા કે આયોજન કર્યુ જ નથી.
જે જનતાની કમનસીબી કહી શકાય તેમ છે. જનતાને તાત્કાલીક ધોરણે બેથી ત્રણ દિવસે નિયમિત શુધ્ધ પાણી વિતરણ થાય તેવી માંગણી કાંતિલાલ સોંદરવાએ કરેલ છે.