![]() |
![]() SANJ SAMACHAR | Date: 28-06-2024 Friday | Rajkot |
|
જામનગર,તા.28
જામનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ વચ્ચે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં કાલાવડ તાલુકાના રામપર રવેશિયા ગામે આધેડની હત્યાનો પ્રયાસ કરાયા બાદ આધેડે અંતિમ શ્વાસ લેતા બનાવ હત્યામાં પલટાયો છે.12 દિવસ અગાઉ સરપંચ પદની ચૂંટણીના મનદુ:ખનો ખાર રાખીને ખેડૂત આધેડ પર કુહાડી વડે હુમલો કરાયો હતો. આ પ્રકરણમાં વૃદ્ધનું મોત નીપજતાં પોલીસે વધુ કાર્યવાહી આદરી છે.
આ અંગેની જાણવા મળતી વિગત અનુસાર આશરે બે વર્ષ પહેલાં રામપર રવેચીયા ગામે રહેતા મોહનભાઈ પુંજાભાઈ ચીખલીયા નામના 62 વર્ષેય વૃદ્ધના ગામ ખાતે સરપંચની ચૂંટણી યોજાઈ રહી હતી. અને તેમાં મોહનભાઈના દીકરા સુનિલભાઈ ચૂંટણીમાં ઊભા હતા. તે વખતે ચૂંટણીમાં સુનિલભાઈ વિરૂદ્ધ આરોપી ગુલમામદ ઓસમાણભાઈ સમા કામગીરી કરતો હોવાથી બંનેના પરિજનોને માથાકૂટ થતી હતી.જેને લઇને બંને વચ્ચે મનદુખ ચાલતુ હતું.
આ બાબતનો ખાર રાખીને ગત તા.14/06/2024 ના સવાર ના આશરે છયેક વાગ્યાના સુમારે મોહનભાઈ પુંજાભાઈ ચીખલીયા પોતાના ગામમાં આવેલ ચારણ નેસ ખાતે પોતાનું બાઈક લઇને દુધ લેવા માટે જતા હતા. ત્યારે આરોપી રસ્તામા સામે મળ્યો હતો અને ત્યારે અગાઉથી આયોજન કરી આવેલ આરોપી ગુલમામદે કુહાડી વડે હુમલો કર્યો હતો.
આરોપી કુહાડી વડે તૂટી પડતા આધેડ બાઈક પરથી જમીન પર પટકાયા હતા. જેને જાનથી મારી નાખવાના ઇરાદે આરોપીએ કુહાડીનો ઘા માથા પાછળના ભાગે તેમજ બંને હાથ તેમજ બંને પગના ભાગે ઝીંક્યા હતા. આ ઉપરાંત બેફામ ગાળો પણ ભાંડી હતી.
જેને લઈને મોહનભાઈ બેભાન થઈ જતા તેનું મોત થઈ ગયું હોય તેવું સમજી આરોપી ત્યાંથી ભાગી છૂટયો હતો. જે મામલે જાણ થતા મોહનભાઈ ચીખલીયા ને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં લાંબા સમય બાદ પણ સારવાર કારગત નિવડતા વૃદ્ધે હોસ્પિટલ બીછાને જ દમ તોડી દીધો હતો. આ બનાવ હત્યામાં પલટાયો છે. જેને લઇને પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમમાં હત્યાનો ગુનો નોંધી આ પ્રકરણની વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે આરોપી ગુલમામદની ધરપકડ કરી અને તેને જેલ હવાલે કરી દીધો છે.