www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

લાંચ લેનારાઓને સબક: ટીડીઓ અને બે તલાટીને ચાર-ચાર વર્ષની સજા


મોરબીની કોર્ટમાં ઐતિહાસિક ચૂકાદા: ચીમનલાલ દસાડીયા, રાજકોટના મુકુંદરાય પાણેરી અને જગદીશ ભટ્ટએ એન્ટ્રી, દાખલા, ડિપોઝીટના કામ માટે રૂપિયા લીધા હતા

સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.24
મોરબીની કોર્ટમાં હળવદ તાલુકાના જુદાજુદા ત્રણ લાંચના કેસ ચાલી ગયા હતા જેમાં અનોખો ઇતિહાસ રચાયો છે અને મોરબીના સ્પેશિયલ જજ અને બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ એ. બુદ્ધએ એક ટીડીઓ બે તલાટી કમ મંત્રી આમ કુલ મળીને ત્રણ લાંચિયા અધિકારીઓને ચાર-ચાર વર્ષની સજા અને 20-20 હજારનો દંડ કર્યો છે.

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ લાંચિયા અધિકારીના કેસની માહિતી આપતા સરકારી વકીલે જણાવ્યુ હતું કે, પ્રતાપગઢ ગામે રહેતા ફરિયાદી રમેશભાઈ પ્રેમજીભાઈ ફૂલતરીયાએ વર્ષ 2008 માં મયુરનગરમાં આવેલ ખેતીની જમીનનો દાખલો લેવો હતો .

ત્યારે તલાટી કમ મંત્રી ચીમનલાલ હીરાભાઈ દસાડિયાએ 500 રૂપિયાની લાંચ માંગી હતી જેથી કરીને એસીબીમાં ફરિયાદ કરતા લાંચ લેતા આરોપી રંગે હાથ પકડાયો હતો જે કેસ મોરબીના સ્પેશિયલ જજ અને બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ એ. બુદ્ધની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં 7 મૌખિક અને 25 દસ્તાવેજી પુરાવા તેમજ મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ સી. દવેની દલીલો ધ્યાને લઈને કોર્ટે આરોપી તલાટી કમ મંત્રી ચીમનલાલ હીરાભાઈ દસાડિયાને ચાર વર્ષની સજા અને 20 હજારનો દંડ કર્યો છે.

તો બીજા કેસમાં હળવદના રહેવાસી આશિષ કુમાર રામભાઈ પટેલને હળવદ તાલુકા પંચાયતમાં ઝેરોક્ષનો કોન્ટ્રાકટ મળ્યા હતો અને ત્યારે બાદ કોન્ટ્રાકટ પૂરો થતા ડિપોઝીટની રકમ પરત મેળવવા વર્ષ 2013 માં ગયા હતા ત્યારે ટીડીઓ મુકુન્દરાય લક્ષ્મીશંકર પાણેરી (રહે. રાજકોટ) વાળાએ તેની પાસેથી બે હજારની લાંચ માંગી હતી જેથી એસીબીમાં ફરિયાદ કરતાં એસીબીએ છટકું ગોઠવીને તેને રંગે હાથે પકડી લઈને ગુનો નોંધાયો હતો .

જે કેસ કોર્ટમાં ચાલી જતાં 6 મૌખિક અને 18 દસ્તાવેજી પુરાવા તેમજ મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ સી. દવેની દલીલને ધ્યાને લઈ સ્પેશિયલ જજ અને બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ એ.બુદ્ધએ આરોપીને ચાર વર્ષની સજા અને 20 હજારનો દંડ કર્યો છે.

જયારે ત્રીજા કેસમાં  હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતા વિપુલભાઈ રાજેન્દ્રભાઇ ભોરણીયાએ વર્ષ 2009 માં  વારસાઈ એન્ટ્રીની કામગીરી કરાવવી હતી ત્યારે તલાટી કમ મંત્રી જગદીશભાઈ નવનીતભાઈ ભટ્ટે 14 હજારની લાંચ માંગી હતી અને બાદમાં 12 હજારમાં નક્કી કર્યા હતા અને લાંચની રકમ પેટેના 6000 આરોપીએ લીધા હતા ત્યારે એસીબીએ તેને રંગે હાથે પકડી લીધો હતો. 

તે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં 6 મૌખિક અને 33 દસ્તાવેજી પુરાવા તેમજ મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ સી. દવેની દલીલોને ધ્યાને લઈને સ્પેશિયલ જજ અને બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ એ. બુદ્ધએ આરોપીને ચાર વર્ષની સજા અને 20 હજારનો દંડ કર્યો છે.

Print