![]() |
![]() SANJ SAMACHAR | Date: 01-07-2024 Monday | Rajkot |
|
રાજકોટ,તા. 1
રાજકોટમાં ચોમાસુ બેસી ગયું છે અને ધીમો વરસાદ ચાલુ છે ત્યારે લાંબા સમય બાદ મચ્છરજન્ય મેલેરીયાના કેસ ચોપડે ચડવાનું શરૂ થયું છે. છેલ્લા અઠવાડિયામાં મેલેરીયાનો એક કેસ નોંધાયાનું આજે આરોગ્ય વિભાગે જાહેર કર્યુ છે.
ગત તા.24-6 થી 30-6 દરમ્યાન શહેરમાં મેલેરીયા અને ડેંગ્યુના એક-એક દર્દી ચોપડે ચડયા છે. જોકે ચીકનગુનીયાનો કોઇ કેસ આવ્યો નથી. આ સિવાય સિઝનલ રોગચાળાના 1296 દર્દીની નોંધ થઇ છે. શરદી-ઉધરસના કેસમાં વધારા સાથે 720 દર્દી નોંધાયા છે. સામાન્ય તાવના 358 દર્દીની નોંધ થઇ છે. તો ખોરાક અને પાણીજન્ય ઝાડા-ઉલ્ટીના કેસ વધીને 217 થયા છે. આ સિવાય ખતરનાક તાવ ટાઇફોઇડનો પણ એક દર્દી ચોપડે ચડયો છે.
હવે ચોમાસામાં વરસાદી પાણી ભરાયેલુ રહે તો તેમાં મચ્છરનો ઉપદ્રવ થવાનો ખતરો વધશે. કોર્પો.એ ફોગીંગથી માંડી જનજાગૃતિની કામગીરી ચાલુ રાખી છે. ડેંગ્યુ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વધુ જનસમુદાય હોય તેવા સ્થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે.
રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે વાહક નિયંત્રણની કામગીરી હેઠળ આરોગ્ય કેન્દ્રના આશાવર્કર સહિત ની 320 ટીમો દ્વારા 35962 ઘરોમાં પોરાનાશક અને ફિલ્ડવર્કરો દ્વારા 202 ઘરોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવી છે.
મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.
તેમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની તપાસ ચાલુ રાખીને મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. જે હેઠળ ર6ર જગ્યાએ તપાસ બાદ રહેણાંકમાં 152 અને કોર્મશીયલ 111 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે.
ચોમાસામાં હવે વધારાના વરસાદી પાણીનો ઘર આંગણેથી નિકાલ કરતા રહેવા અને તકેદારી રાખવા મેલેરીયા શાખાએ અનુરોધ કર્યો છે.