![]() |
![]() SANJ SAMACHAR | Date: 28-06-2024 Friday | Rajkot |
|
રાજકોટ તા.28
એક સપ્તાહના અંતરાલ બાદ જ રાજય સરકારે વધુ એક ઉચ્ચ અધિકારીને ફરજમાંથી ફરજીયાત નિવૃત કર્યા છે. હાલમાં જ સરકારે નર્મના નિગમનાં એક કાર્યપાલક ઈજનેરને ફરજીયાત નિવૃત કર્યા હતા.
ત્યારે હવે રાજકોટનાં તત્કાલિન જિલ્લા રજીસ્ટ્રાર અને હાલમાં ખેતીવાડી વિભાગમાં ગાંધીનગર ખાતે ઈન્ચાર્જ નિયામક તરીકે તથા સંયુકત રજીસ્ટ્રાર (ઈન્સ્પેકશન) વર્ગ-1 તરીકે ફરજ બજાવતા એમ.એસ. લોખંડેને તેનાં ભુતકાળની ફરજોમાં બેદરકારી તથા રાજકોટનો એસીબી કેસ અને છેલ્લા દશ વર્ષનાં ખાનગી અહેવાલોને ધ્યાને લઈ રાજય સરકારે અપરિપકવ (ફરજીયાત) નિવૃત કરી દેવાનો હુકમ કયાતા સરકારી વર્તુળોમાં ચકચાર જાગી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે મનોજ લોખંડેએ જે તે સમયે જામનગર જિલ્લા પંચાયત કર્મચારી નગર નિર્માણ કો.ઓ. હા.સો. લી. જામનગરની નોંધણી કરવા અંગેની કામગીરીમાં રજીસ્ટ્રાર- સહકારી મંડળીઓ- ગુજરાતના તા.19/7/1996ના પરિપત્રની સુચનાનો ભંગ કરવા અંગે વર્ષ 2016માં દોષિત ઠર્યા હતા અને પગાર ધોરણમાં બે ઈજાફા અટકાવાયા હતા. તથા લોખંડે તત્કાલિન જિલ્લા રજિસ્ટ્રાર સ.મં., રાજકોટની તેઓની તા.25-1-2011થી તા.3-4-2013 સુધી ફરજો દરમિયાન શ્રી શિરોમણી શરાફી સહકારી મંડળી લી. (સૂચિત), રાજકોટની નોંધણીમાં થયેલ ક્ષતિમાં પણ દોષિત ઠરતાં વિભાગના તા.14-11-2019ના હુકમ અન્વયે લોખંડેને પગારધોરણમાં એક તબકકો ભવિષ્ય અસર વિના 12 (બાર) માસ માટે નીચે ઉતારવામાં આવેલ.
વધુમાં તેઓને તા.23-10-2015 બાદ કોઈ બઢતી આપવામાં આવેલ નથી. વધુમાં લોખંડે સામેના એસીબી કેસ નં.02/2014ના તા.30-11-2022ના ચુકાદામાં તેમને બેનીફીટ ઓફ ડીબેટને આધારે દોષમુકત કરવામાં આવેલ છે.
આમ, લોખંડેની સંપૂર્ણ સેવા વિષયક વિગતો જોતા તેઓની સેવાઓ દરમિયાન તેઓની વર્તણુંકમાં સરકારી સેવા અને કામગીરી પ્રત્યે નિષ્ઠાનો અભાવ જણાય છે. વધુમાં તેઓની સરકારી અધિકારી તરીકેની કામગીરીમાં ડીબેટફુલ ઈન્ટેગ્રીટી પણ જણાય છે. આથી તેઓને ફરજીયાત નિવૃત કરી દેવાયા છે.