![]() |
![]() SANJ SAMACHAR | Date: 22-05-2024 Wednesday | Rajkot |
|
નવી દિલ્હી,તા.22
વિદેશમંત્રી એસ.જયશંકરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ એકવાર નહીં, પણ બે વખત રશિયા-યુક્રેનનું યુદ્ધ અટકાવ્યું હતું. યુદ્ધ દરમ્યાન ફસાયો ભારતીય વિદ્યાર્થી સુરક્ષિત દેશ પરત લાવવા આ યુદ્ધ અટકાવવામાં આવ્યું હતું.
એસ.જયશંકરે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, સૌથી પહેલા પાંચ માર્ચે ખારકીવમાં યુદ્ધ રોકવામાં આવ્યું હતું, જયારે આપણા છાત્રોને યુક્રેનમાં નજીકના સુરક્ષિત ક્ષેત્રમાં લઈ જવામાં આવી રહ્યા હતા અને ત્યારે ફાયરીંગ થઈ રહ્યું હતું ત્યારે આપણા વડાપ્રધાન મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુટીનને ફોન કરી ભારતીય છાત્રોને રસ્તો આપવા ગોળીબારી રોકવા કહ્યું હતું.
પીએમ મોદીના અનુરોધ પર રશિયન સેનાએ ગોળીબારી રોકી દીધી હતી અને આપણા છાત્રો-લોકો સુરક્ષિત વતન પરત ફર્યા હતા. અન્ય એક ઘટના આઠ માર્ચે બની હતી. એસ.જયશંકરે જણાવ્યું હતું કે, યુક્રેન, રશિયા અને મિલિશિયા વચ્ચે લડાઈ ચાલતી હતી. આપણા છાત્રો તે ક્ષેત્ર છોડવા માંગતા હતા. અમે સંઘર્ષ રોકવાની કોશિશ કરેલી પણ સફળ નહોતા થઈ શકતા જેવા છાત્રો બસમાં સવાર થતા ફાયરીંગ શરૂ થતુ, જેથી છાત્રોએ પાછા ફરવું પડતું.
આથી અમે આ મામલે પીએમ મોદીને વાત કરી. તેમણે છાત્રોનું મનોબળ વધારવા સૂચન કરેલું. બાદમાં પીએમ મોદીએ પુતિન અને જેલેન્સ્કીને ફોન કર્યો અને યુદ્ધ રોકવામાં આવ્યું અને આપણા છાત્રો માટે સુરક્ષિત રસ્તો બન્યો હતો.