![]() |
![]() SANJ SAMACHAR | Date: 10-06-2024 Monday | Rajkot |
|
રાજકોટ, તા.10
તાજતેરમાં યોજાયેલ 18 મી લોકસભા ચૂંટણીના પરિણામો ગત તા. 4 જૂનના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ભાજપના નેતૃત્વ હેઠળના એન.ડી. એ. ગઠબંધને 292 બેઠકો જીતીને બહુમતનો આંકડો પાર કર્યો છે. જેમાં ભાજપને 240 બેઠકો મળી હતી. કેન્દ્ર સરકારમાં સતત બે ટર્મથી વડાપ્રધાન તરીકે ચુંટાતા નરેન્દ્રભાઈ મોદીને સતત ત્રીજી ટર્મમાં એન.ડી.એ.તથા ભાજપના સંસદસભ્યોએ સર્વસંમતિથી વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીને બનાવતા રાજકોટ શહેર ભાજપ દ્વારા નરેન્દ્રભાઈ મોદીને શુભેચ્છા પાઠવી અભિનંદન પાઠવ્યા હતા.
આ તકે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદી ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ પછી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનનારા બીજા નેતા બન્યા છે. ભાજપ અને એન.ડી.એ એ સતત ત્રીજી ટર્મમાં નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન તરીકે દેશનું સુકાન સંભાળ્યું છે ત્યારે ભારત દેશનો વિકાસ અવિરપણે ચાલતો રહેશે. દેશના છેવાડાના માનવીને ભારતની વિવિધ યોજનાઓનો લાભ આપી અને દેશના વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવામાં આવશે. ભારતને સંપૂર્ણ ડીઝીટલ યુગમાં લાવી દેશનો વિકાસ નાણાકીય સગવડો સહિત અવકાશીક્ષેત્રે વૈજ્ઞાનિક પ્રગતિ પણ કરવામાં આવશે.