![]() |
![]() SANJ SAMACHAR | Date: 29-06-2024 Saturday | Rajkot |
|
રાજકોટ, તા.29
નીટ પરીક્ષા કૌભાંડ અને જીસીએએસ પોર્ટલના છબરડાના વિરોધમાં એનએસયુઆઇ દ્વારા આજે સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ ડો. નિલામ્બરીબેનનો ઘેરાવ કરી સરકારની સદબુદ્ધિ માટે હવન કર્યો હતો.
આ આંદોલનાત્મક કાર્યક્રમમાં પોલીસ દ્વારા એનએસયુના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિત સાત કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. આ અંગે એનએસયુઆઇના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે ધો.12 સાયન્સ બાદ મેડીકલ કોલેજમાં પ્રવેશ માટે નીટની પરિક્ષા લેવામાં આવે છે જેમાં આ વખતે મોટાપાયે ગેરરીતિ થવા પામી છે.
કેન્દ્ર સરકાર આ પરીક્ષામાં પેપર લીકનો ઇન્કાર કરી રહી છે. આ મુદ્ે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા તેમજ રાજસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લીકાર્જુન ખડગેજી દ્વારા આ મુદ્ો ઉઠાવાતા તેમના માઇક બંધ કરી દેવામાં આવ્યા હતા.
જે દર્શાવે છે કે વર્તમાન સરકારને યુવાઓના ભવિષ્યની કોઇ ચિંતા નથી તેઓ માત્રને માત્ર નીટ કૌભાંડના મોટા માથાઓને છાવરી રહી છે. નીટમાં માત્ર ગ્રેસ માર્કસની સમસ્યા જ નહીં પરંતુ આ પરીક્ષામાં મોટાપાયે ગોટાળા કરવામાં આવ્યા છે. નીટ પેપરલીક પ્રકરણમાં ફોરેન્સીક તપાસની તેઓએ માંગણી ઉઠાવી હતી.
તેની સાથોસાથ જણાવ્યું હતું કે નીટ આપનાર 24 લાખ વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ સાથે કેન્દ્ર સરકાર રમત રમી રહી છે. નીટમાં માર્કસ આપવાની પ્રક્રિયા પર મોટા પ્રશ્ર્નાર્થ ઉભા થયા છે. જો પેપરલીકની વાત સાચી ન હોય તો પછી બિહારના પટણામાં એફઆઇઆર દાખલ થઇ છે અને 19 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
તેઓએ સ્પષ્ટ જણાવેલ કે અમોને નીટ પ્રશ્ન પત્ર જવાબ સાથે આપી દેવામાં આવેલ હતું. માટે આ કૌભાંડની તપાસ કરવી અતિ આવશ્યક છે. તેની સાથોસાથ તેઓએ જણાવ્યું હતું કે રાજ્યની સરકારી યુનિ.ઓમાં પ્રવેશની પ્રક્રિયા ઝડપી અને પારદર્શક રીતે થાય તે માટે ચાલુ વર્ષથી કોમન એડમીશન પોર્ટલ જીસીએસ તૈયાર કર્યું છે.
આ પોર્ટલથી પ્રક્રિયા ઝડપી બની હતી. ઉલ્ટાનું બધુ પેચીદી બની છે. અનેક વિદ્યાર્થીઓએ પુન: રજીસ્ટ્રેશન કરવાનું કહેવામાં આવ્યું છે. આ પોર્ટલથી ખાનગી યુનિ.ઓને મોટો ફાયદો થયો છે. આ મામલે તેઓએ યુનિ.ના કુલપતિને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.