www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

નર્મદા નિગમના અધિક્ષક ઇજનેર જે.જે.પંડયા તાત્કાલીક અસરથી ‘ફરજિયાત નિવૃત્ત’ : સચિવાલયમાં સોંપો


ખાતાકીય તપાસ, સરકારને આર્થિક નુકસાન સહિતના કારણોને પગલે તત્કાલ નોકરીમાંથી રીટાયર્ડ કરાયા

સાંજ સમાચાર

ગાંધીનગર, તા. 22
ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરવાના દાવા વચ્ચે રાજય સરકારે સરદાર સરોવર નર્મદા નિગમના અધિક્ષક ઇજનેર જે.જે.પંડયાને તાત્કાલીક અસરથી ફરજીયાત નિવૃત કરી દેતા સચિવાલય વર્તુળોમાં ખળભળાટ સર્જાયો છે. 

રાજ્ય સરકારે સરદાર સરોવર નર્મદા નિગમમાં અધિક્ષક ઇજનેર (આલેખન) વર્તુળ ગાંધીનગરના અધિક્ષક ઇજનેર જે.જે.પંડ્યાને તાત્કાલિક અસરથી સરકારી સેવામાંથી અપરિપક્વ નિવૃત્ત એટલે કે પ્રીમેચ્યોર રિટાયર્ડ કરવાનો આદેશ કર્યો છે. જે.જે.પંડ્યા સામે હાલ ચાલી રહેલી ખાતાકીય તપાસોમાં ફરજ પ્રત્યે નિષ્ઠા અને પ્રમાણિકતાનો સંપૂર્ણ અભાવ તેમજ ફરજ પ્રત્યેની ગંભીર બેદરકારીના આરોપો છે.

એટલું જ નહીં, તેમની સામે અગાઉની ખાતાકીય તપાસમાં તેમની સામેના તમામ સાત આરોપો મળીને સરકારને મોટું નાણાકીય નુકસાન પણ થયેલું છે. પંડ્યાના સમગ્ર સેવાકાળ દરમિયાનની તેમની સામે ખાતાકીય તપાસની ગંભીરતા ધ્યાનમાં લેતાં, તેમનું આચરણ અને પ્રતિષ્ઠા એવી છે કે તેમની સેવાઓ ચાલુ રાખવી એ જાહેર સેવામાં ખતરો અને જાહેર હિત માટે હાનિકારક છે.

આ બધા જ સંજોગો ધ્યાનમાં લઈને જે.જે. પંડ્યા અધિક્ષક ઇજનેર વર્ગ-1ને 55 વર્ષની વય પછી તાત્કાલિક અસરથી સેવામાંથી અપરિપક્વ નિવૃત્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તદ્દઅનુસાર જે.જે. પંડ્યાને 21 જૂન 2024ના બપોર બાદ તાત્કાલિક અસરથી સરકારી સેવામાંથી અપરિપક્વ નિવૃત્ત કરવાના આદેશો કરવામાં આવ્યા છે.

 

Print