SANJ SAMACHAR | Date: 24-05-2024 Friday | Rajkot |
www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net |
અમદાવાદ,તા.24
ગુજરાતમાંથી દરરોજ મોટા પ્રમાણમાં ડ્રગ્સ કન્સાઈન્ટમેન્ટ પકડાઈ રહ્યું છે. જેના માટેના રૂપિયાનાં હવાલા પણ આંગડીયા પેઢીઓ દ્વારા જ પાડવામાં આવતા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. જેને પગલે હવે સેન્ટ્રલ એજન્સીઓ દ્વારા આ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત દેશ માટે ખતરા સમાન અન્ડર વર્લ્ડમાં પણ ખંડણી અને વસુલીના રૂપિયા પણ આંગડીયાઓ મારફતે હવાલા દ્વારા જ જે તે સ્થળે પહોંચાડવામાં આવતા હતા. વર્તમાન સમયે ક્રિકેટ સટ્ટામાં દરરોજ હજારો કરોડની હારજીત થઈ રહી છે. ત્યારે જ સટ્ટા બેટીંગ સાથે જોડાયેલા એક બુકીએ આ રૂપિયાના હવાલા માટે જ આંગડીયા પેઢી શરૂ કરી છે. તપાસ દરમ્યાન ઘણી ચોંકાવનારી વિગતો સામે આવે તેવી સંભાવના છે.
ગુજરાત પોલીસે હવાલા રેકેટ ચલાવતાં આંગડીયા પર દરોડા પાડીને તપાસ કરી હતી. પ્રાથમીક તપાસમાં જ કરોડો રૂપિયા મળતાં તપાસમાં ઈન્કમટેકસના અધિકારીઓ પણ જોડાયા હતા. પોલીસ અને ઈન્કમટેકસનાં અધિકારીઓએ આંગડીયા પેઢીઓની 11 ઓફીસમાં બોડી વોર્ન કેમેરા સાથે દરોડા પાડયા હતા. જેમાં 18 કરોડ રોકડા, એક કિલો સોનુ અને 64 લાખની વિદેશી ચલણી નોટો મળી આવી હતી. જે આયકર વિભાગે કબ્જે લીધી હતી.
આંગડીયાઓએ ક્રિકેટ સટ્ટાના હવાલા પાડતા હોવાની વિગતોને આધારે ઈડી અને ડીઆરઆઈ પણ તપાસમાં જોડાઈ છે ત્યારે જ એક નવો ખુલાસો થયો છે. આંગડીયાઓ ડ્રગ્સ માફીયાઓના કરોડો રૂપિયા હવાલા પાડતા હતા જેને પગલે નાર્કોટીકસ કન્ટ્રોલ બ્યુરો પણ તપાસમાં જોડાયું છે. દેશમાં છેલ્લા એકાદ વર્ષમાં જે ડ્રગ્સ કન્સાઈન્ટમેન્ટ ઝડપાયા છે તેમાં રૂપિયા આંગડીયાના હવાલા દ્વારા જ પહોંચાડાતા હતા. અન્ડરવર્લ્ડનાં હવાલા પણ આંગડીયા દ્વારા જ પડાતા હતા.
ત્યારે IPL ના હવાલા બે આંગડીયા મારફતે જ પડતા
ચૂંટણી ટાણે રોકડ રૂપિયાની હેરાફેરી લગભગ સ્થગીત થઈ જતી હોય છે. ચૂંટણી પંચનાં આદેશથી ખાસ ટીમ દ્વારા રૂપિયાના હેરાફેરી પર વોચ રાખવામાં આવતી હોય છે. જેને પગલે રૂપિયાની હેરાફેરી અટકી જતી હોય છે.ચૂંટણીમાં ગુજરાતમા મતદાન પુરૂ થયુ ત્યાં સુધી લગભગ આંગડીયા પેઢીઓ બધે જ હતી.
જોકે આ સમયે આઈપીએલની મેચો રમાઈ રહી હતી અને દરેક મેચ પર કરોડો રૂપિયાનો સટ્ટો રમાતો હોય છે. જેના રૂપિયાની હવાલા માટે બે આંગડીયા પેઢીઓની કામગીરી ચાલુ હતી. દેશભરના બુકીઓ મેચના બીજા દિવસે સવારે જ હાર-જીતનાં સોદા પાડી દેતા હતા.