www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજકોટ સહિત રાજયભરમાં આજથી શનિવાર સુધી રેશનકાર્ડની ઓનલાઈન સેવાઓ ઠપ્પ!


ડેટા માઈગ્રેડ કરવાનો હોવાથી તા.6 સુધી સેવાબંધ રાખવા પૂરવઠા તંત્રનો નિર્ણય

સાંજ સમાચાર

રાજકોટ,તા.2
રાજકોટ સહિત રાજયભરમાં આજથી રેશનકાર્ડને લગતી તમામ ઓનલાઈન સેવાઓ ઠપ્પ થઈ ગઈ છે. અને આ સેવા આગામી તા.6ને શનિવાર સુધી બંધ રહેનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે પુરવઠાનાં જૂના સર્વરમાં ડેટાનો વ્યાપક ભરાવો થઈ જતા પૂરવઠા તંત્રએ સર્વર પર ડેટાબોઝ અપગ્રેડ કરવાનું આજથી શરૂ કર્યુ હોય તા.6 સુધી રેશનકાર્ડની ઓનલાઈન કામગીરી બંધ રહેનાર છે. 

દરમ્યાન રેશનકાર્ડને લગતા ડેટાબેઝ અન્ય સર્વર પર માઈગ્રેટ કરવાનો હોવાથી તા. 2થી 6 જુલાઈ સુધીના સમયગાળા દરમિયાન રેશનકાર્ડને લગતી ઓનલાઈન સેવાઓ બંધ રહેશે તેમ જિલ્લા પૂરવઠા અધિકારીએ જણાવેલ છે.

તેમના જણાવાયા મુજબ, રેશનકાર્ડ ધારકોને હાલાકીનો સામનો ના કરવો પડે તે હેતુથી સર્વર પર ડેટાબેઝ અપડેટ કરવા અંગે નાયબ નિયામક અન્ન અને નાગરિક પૂરવઠા કચેરી-ગાંધીનગર તરફથી સૂચના આવી છે કે, હાલમાં રેશનકાર્ડને લગતો જૂનો ડેટાબેઝ સર્વર પર રહેલો છે.

જેનો સમયગાળો ખૂબ વધારે થઈ ગયો હોવાથી માઇક્રોસોફ્ટ દ્વારા તેના પર સપોર્ટ બંધ કરાયો છે. જેના લીધે સર્વર ધીમું હોવા બાબતે જિલ્લા-તાલુકા કક્ષાએ હાલાકીનો સામનો કરવાના પ્રશ્ન ઊભા થાય છે.

જેથી તા.2થી 6 જુલાઈ સુધીના સમયગાળામાં રેશનકાર્ડને લગતી સિસ્ટમ માઇગ્રેટ-મેઈન્ટેનન્સ હેઠળ હોવાથી, આ સમયગાળામાં રેશનકાર્ડને લગતી ઓનલાઈન સેવાઓ બંધ રહેશે. આ બાબતની નોંધ તમામ  વ્યાજબીભાવની દુકાનના સંચાલકો તથા રેશનકાર્ડ ધારકોને લેવા જણાવાયું છે.

Print