SANJ SAMACHAR | Date: 18-06-2024 Tuesday | Rajkot |
www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net |
રાજકોટ તા.18
નીટની પરીક્ષા રદ્દ કરી ફરી લેવાની માંગણી સાથે સીવાયએસએસ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા આજે કિશાનપરા ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ હતું. જેમાં સીવાયએસએસના કાર્યકરો દ્વારા એનટીએ (નેશનલ ટેસ્ટીંગ એજન્સી)ના પુતળાનું દહન કરે તે પહેલા જ પોલીસે 14 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી.
આ કાર્યક્રમમાં રસ્તા રોકો આંદોલન કરી કિશાનપરા ચોકને ચકકાજામ કરી દેવામાં આવેલ હતો. આ અંગે સીવાયએસએસના મહામંત્રી કલાપી વાળાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત સહિત દેશમાં અલગ અલગ 40થી વધુ પરીક્ષાના પેપર લીક થયેલ છે. જેની લાખો વિદ્યાર્થીઓને સીધી અસર થવા પામી છે.
નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા લેવાયેલ નીટની પરીક્ષામાં પણ મોટું કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં 75 ટકા ટોપર વિદ્યાર્થીઓને ગ્રેસ માર્કસ આપવામાં આવેલ છે. તદુપરાંત છ ટોપર્સ એવા છે કે જેઓએ એક પરીક્ષા કેન્દ્રમાંથી આ પરીક્ષા આપી છે.
આ પરીક્ષાનું મોટું કૌભાંડ બહાર આવતા આ પરીક્ષાને રદ કરી તેને ફરીથી લેવા માટે યુવા આગેવાનોએ માંગણી ઉઠાવી હતી. આ આંદોલનાત્મક કાર્યક્રમમાં સીવાયએસએસના પ્રદેશ ઉપપ્રમુખ સુરજ બગડા દ્વારા આ કૌભાંડમાં દોષીઓને કડક સજા કરવામાં આવે તેવી પણ માંગણી ઉઠાવી હતી.