SANJ SAMACHAR | Date: 05-06-2024 Wednesday | Rajkot |
www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net |
રાજકોટ,તા.5
લોકસભાના ચૂંટણી પરિણામોથી શેરબજારમાં મંગળવારે મંદીનો માતમ સર્જાયા બાદ આજે બીજા દિવસે ગભરાટ શમ્યો હતો અને બેતરફી વધઘટે માર્કેટ ગ્રીનઝોનમાં આવ્યુ હતું. સેન્સેકસમાં 2400 પોઈન્ટનો ધરખમ ઉછાળો નોંધાયો હતો.
શેરબજારની અપેક્ષા મુજબ ચુંટણી પરિણામો આવ્યા ન હોવાના કારણે મંગળવારે જોરદાર ગાબડુ પડયુ હતું. તમામે તમામ શેરોમાં પ્રચંડ કડાકા સાથે ઈન્વેસ્ટરોની સંપતિમાં ઐતિહાસિક ધોવાણ થયુ હતું. ભાજપને એકલાહાથે બહુમતી ન મળવા છતાં મોદી સરકાર જ રચાવાનું સ્પષ્ટ બનતા આજે માર્કેટમાં ગભરાટ હળવો બન્યો હતો.
જો કે, નવી સરકાર હિમતભર્યા પગલા નહીં લઈ શકે તેવી આશંકાને કારણે હજુ માનસ સાવચેતીનુ જ ગણાતુ હતું. છતાં વેચાણ કાપણી અને સંસ્થાકીય લેવાલીને પગલે તમામ શેરો ઉંચકાયા હતા.
શેરબજારમાં આજે અદાણી પોર્ટ, ઈન્ડુસઈન્ડ બેંક, મહીન્દ્ર, ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, કોટક બેંક, લાર્સન, મારૂતી, નેસલે, એનટીપીસી, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટીસીએસ, ટાઈટન, એશિયન પેઈન્ટસ, એકસીસ બેંક, બજાજ ફાઈનાન્સ, ભારતીય એરટેલ, એચડીએફસી બેંક, હિન્દલીવર, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસીસ વગેરે ઉછળ્યા હતા.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 2408 પોઈન્ટના ઉછાળાથી 74487 સાંપડયો હતો જે ઉંચામાં 74507 અને નીચામાં 71879 થયો હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 770 પોઈન્ટના સુધારાથી 22654 હતો તે ઉંચામાં 22660 તથા નીચામાં 21791 હતો. બીએસઈનું માર્કેટ કેપ 12 લાખ કરોડ વધીને 408 લાખ કરોડ થયુ હતું.