![]() |
![]() SANJ SAMACHAR | Date: 22-05-2024 Wednesday | Rajkot |
|
(વિપુણ વિરાણી દ્વારા) ભાવનગર,તા.22
ભાવનગર જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સર્વોત્તમ ડેરી સાથે સંયોજિત દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પશુપાલકોની પશુપાલક આધ્યાત્મિક સમિતિ દ્વારા શ્રી રામ જીવન દર્શન કથાનું સર્વોત્તમ ડેરીના સર ચિલિંગ સેન્ટર ખાતે સનાતન ધર્મ પ્રચારક ભાગવતાચાર્ય પૂ. હિતેષદાદા ભટ્ ( સથરાવાળા) ના વ્યાસાસને આજરોજ પ્રારંભ થયેલ છે.
આ પ્રસંગે પોથીયાત્રા સવારે 9 કલાકે દાણ ફેક્ટરીથી નીકળી સર ચિલિંગ સેન્ટર ખાતે કથા મંડપમાં આવી હતી. આજના પ્રથમ દિવસે પોથીજીની પૂજા સર્વોત્તમ ડેરીના સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઈ પનોતે કરી હતી. હવેના દિવસોમાં જિલ્લાભરની દૂધ મંડળીઓના કાર્યવાહકો દ્વારા કરવામાં આવશે. આજે પ્રથમ દિવસે જિલ્લાની 50 થી 60 દૂધ મંડળીના આશરે 3000 દૂધ ઉત્પાદકોએ કથાનું રસપાન કરેલ છે.
આવેલ મંડળીઓનું પૂજ્ય. હિતેષદાદાના હસ્તે સ્મૃતિભેટ આપી સન્માન કરવામાં આવ્યું છે. આજની કથાનું મંગલાચરણ કરતા પૂ હિતેષદાદાએ રામ ચરિત માનસનું માહાત્મ, વાલ્મીકીઋષિની કથા તેમજ કથાની શરૂઆતમાં આવતા પ્રસંગો વર્ણવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. સર્વોત્તમ ડેરીના સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઈ પનોત, સ્થાપક અને મેનેજિંગ ડીરેક્ટર એચ.આર.જોષી, ડાયરેક્ટરે તથા સીજીએમ યોગેશકુમાર જોષીએ તમામ દૂધ ઉત્પાદકોને આવકાર્યા હતા.