![]() |
![]() SANJ SAMACHAR | Date: 23-05-2024 Thursday | Rajkot |
|
રાજકોટ, તા. 23
મ્યુનિ. કોર્પોરેશનની સ્ટે.કમીટીની મીટીંગ આવતીકાલ તા.24-5ના રોજ ચેરમેન જયમીન ઠાકરે બોલાવી છે. તેમાં ચૂંટણી આચારસંહિતા લાગુ હોય, ફરી તમામ દરખાસ્ત સહિતની કાર્યવાહી મોકુફ રાખવામાં આવશે.
સ્થાયી સમિતિની સતત ત્રીજી મીટીંગમાં કોઇ દરખાસ્તો અંગે નિર્ણય લઇ શકાશે નહીં. તા.4 જુનના રોજ લોકસભાની ચૂંટણીની મત ગણતરી છે. તા.6 સુધી આચારસંહિતા લાગુ છે. છેલ્લી બે મીટીંગમાં પણ કોઇ કાર્યવાહી થઇ શકી ન હતી. આથી બે મહિના અગાઉથી એજન્ડામાં રહેલી દરખાસ્તો જ ફરી સામેલ કરી શકાય છે.
કાલે સવારે 11 વાગ્યે સ્થાયી સમિતિની મીટીંગ મળશે અને તમામ કાર્યવાહી મોકુફ રાખવાની જાહેરાત કરી દેવામાં આવશે. હવે મત ગણતરી બાદ મળનારી મીટીંગથી વિકાસ કામોના નિર્ણયો શરૂ થશે. તાજેતરમાં જનરલ બોર્ડમાં પણ કોઇ કાર્યવાહી થઇ શકી ન હતી તે ઉલ્લેખનીય છે.
એજન્ડા પર વોર્ડ નં. 8, 11 અને 13માં બલ્ક ફલો મીટર મુકવા, આજી ડેમ નેશનલ હાઇવે પર વૃક્ષારોપણ માટે પાણીની લાઇનનું નેટવર્ક, વોર્ડ નં.18માં પેવીંગ બ્લોક, રેટ કોન્ટ્રાકટ, મોટા મવામાં ગેસ સ્મશાન, વોર્ડ નં.18માં રોડ ડેવલપમેન્ટ, કોઠારીયા રોડ સાંઇબાબા સર્કલથી ડામર કાર્પેટનું કામ, વિરાણી અઘાટ તરફ ડ્રેનેજ લાઇન, વોર્ડ નં.11માં 11 મોટા મવામાં ડ્રેનેજ લાઇન, ઓડિટ રીપોર્ટ સહિતની દરખાસ્તો મોકુફ રહેશે.