![]() |
![]() SANJ SAMACHAR | Date: 07-06-2024 Friday | Rajkot |
|
રાજકોટ તા.7
રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીમાં માત્ર ઉમેદવાર જ નહીં પરંતુ નામાંકન પત્ર ભરનારા તમામ પાસેથી ચૂંટણી ખર્ચના હિસાબો ચૂંટણી પંચ દ્વારા માંગવામાં આવેલ છે. આ માટે ખર્ચના ઓબ્ઝર્વર મિશ્રા આગામી તા.30મીના રોજ રાજકોટ ખાતે આવી પહોંચનાર છે.
જે બાદ તા.3 જુલાઈના રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી લડનારા અને નામાંકન પત્ર ભરનારા તમામ ઉમેદવારો પાસેથી ખર્ચના હિસાબોનું સરવૈયું લેવામાં આવનાર છે. અહીં એ ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારો માટે ચૂંટણીપંચ દ્વારા ખર્ચની મર્યાદા રૂા.95 લાખની નિયત કરવામાં આવી હતી.
રાજકોટ લોકસભાની બેઠક ઉપર ડમી સહિતના 16 જેટલા ઉમેદવારોએ નામાંકન પત્ર ભર્યા હતા. જે બાદ નવ ઉમેદવારો જ ચૂંટણી જંગ લડેલ હતો. તે પૂર્વે 7 જેટલા ઉમેદવારોએ પોતાના નામાંકન પત્ર પરત ખેંચી લીધા હતા. કેન્દ્રીય ચૂંટણીપંચના નિયમ મુજબ નામાંકન પત્ર ભરનાર તમામ ઉમેદવારોએ ખર્ચના હિસાબો રજૂ કરવા પડે છે.
જેથી રાજકોટ બેઠક ઉપર ઉમેદવારી ફોર્મ ભરનાર આ તમામ ઉમેદવારોએ ખર્ચના હિસાબો ચૂંટણીપંચ સમક્ષ રજૂ કરવા પડશે. આ માટે આગામી તા.3ના રોજ ચૂંટણીપંચના ઓબ્ઝર્વર સાથે નામાંકનપત્ર ભરનાર તમામ ઉમેદવારોની બેઠક આયોજીત કરવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે. અગાઉ ચુંટણી દરમ્યાન ચુંટણી ખર્ચના હિસાબો રજૂ ન કરવા સબબ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા અને કોંગ્રેસના પરેશ ધાનાણીને નોટીસ ફટકારવામાં આવી હતી.