![]() |
![]() SANJ SAMACHAR | Date: 08-06-2024 Saturday | Rajkot |
|
નવી દિલ્હી,તા.8
જે નેતાઓએ નીતીશકુમારને આઈએનડીઆઈ (ઈન્ડિયા) ગઠબંધનના રાષ્ટ્રીય સંયોજક બનાવવાનો ઈન્કાર કરી દીધો હતો, તેઓ નીતીશકુમારને વડાપ્રધાન બનાવવાનો પ્રસ્તાવ આપી રહ્યા હતા પરંતુ નીતીશકુમારે તેને ફગાવી દીધો હતો. હાલ કેન્દ્રમાં એનડીએની ગઠબંધન સરકાર બનવા જઈ રહી છે ત્યારે જેડીયુના નેતા કે.સી.ત્યાગીના આ નિવેદનથી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
એક ઈન્ટરવ્યુમાં કે.સી.ત્યાગીએ જણાવ્યું હતું કે ચુંટણી પરિણામે બહાર આવ્યા બાદ ઈન્ડીયા ગઠબંધનના નેતાઓએ નિતીશકુમારને વડાપ્રધાન પદની ઓફર કરી હતી પણ નીતીશે તેને ઠુકરાવી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીમાં બહુમતના આંકડાને સ્પર્શવામાં ભાજપ અસફળ રહ્યું હતું. જો કે એનડીએ સરકાર બનાવવા માટે જેડીયુ અને ટીડીપીએ ભાજપનું સમર્થન કર્યું છે.
કે.સી.ત્યાગીએ વધુમાં જણાવ્યું હતું કે, ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ દ્વારા નીતીશકુમાર સાથે કરવામાં આવેલ દુર્વ્યવહારના કારણે તેમણે વિપક્ષો સાથે સંબંધ તોડી નાખ્યો હતો, જયારે જેડીયુને ભાજપ સન્માન આપી રહી છે.
ઉલ્લેખનીય છે કે ,જેડીયુએ દેશના બે મોટા વિષયો પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યુ છે. તે સેનામાં ભરતી માટેની અગ્નિવીર યોજનાની સમીક્ષા અને સમાન નાગરિક સંહિતા પર બધા રાજયો સાથે વાતચીતના પક્ષમાં છે. જદયુની આશ, રાષ્ટ્રીય સ્તરે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની પણ છે. ત્યાગીએ જણાવ્યું હતું કે અગ્નિવીર યોજનાનો ઘણો વિરોધ થયો હતો. લોકસભા ચુંટણીમાં પણ તેની અસર જોવા મળી હતી એટલે તેના પર ફરીથી વિચાર કરવાની જરૂર છે.