![]() |
![]() SANJ SAMACHAR | Date: 12-06-2024 Wednesday | Rajkot |
|
♦એફઆઇઆરમાં ગુજસીટોકનાં ઉમેરા કરવા સહિતની વધુ ચાર માંગ ઉચ્ચારવામાં આવી : સમગ્ર ગોંડલમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો
ગોંડલ, તા. 12
જુનાગઢ થી ગુજરાત અનુ.જાતિ સમાજ દ્વારા બાઈક રેલીનું આયોજન કરી ગોંડલ પંહોચી સંમેલન નું આયોજન કરાયું હતું. જેમા વકતાઓ એ મુખ્યત્વે પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાને આડે હાથ લઈ તેની દબંગગીરી ને પડકારી હતી.બાઇક રેલી અને સંમેલન માં જુનાગઢ, કેશોદ, જેતપુર, ધોરાજી સહિત સૌરાષ્ટ્રભરમાંથી અનુ.જાતિનાં યુવાનો ઉમટી પડ્યા હતા.
દલિત સમાજ દ્વારા જુનાગઢથી ગોંડલ પ્રતિકાર બાઈક રેલીના આયોજનને લઈ બહોળી સંખ્યામાં મેઘવાળ સમાજના લોકો ગોંડલ આવી પહોંચ્યા હતા અને અત્રેના ખટારા સ્ટેન્ડ ખાતે સંમેલન સભા યોજાયું હતુ.
ખટારા સ્ટેન્ડ ખાતે યોજાયેલ સંમેલન માં ગોંડલ, રાજકોટ, જૂનાગઢ ઉપરાંત ઉપરાંત સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી બહોળી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો અને લોકો ઉમટી પડ્યા હતા. પોલીસતંત્ર દ્વારા કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
મુખ્ય સ્ટેજ પરથી જિલ્લા અનુ જાતિ મહામંત્રી દેવદાનભાઈ મુછડીયા દ્વારા ગોંડલ એપીએમસીના ચેરમેન અલ્પેશ ઢોલરીયાની ઓડિયો ક્લિપ બહાર પાડવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે પાટીદાર આગેવાન દ્વારા પાટીદાર યુવાનને ધમકાવવાનો આ પુરાવો છે બાદમાં ક્રમશ: મેઘવાળ સમાજના આગેવાન ભનુભાઈ ચૌહાણ, વશરામભાઈ સાગઠીયા, નિખીલભાઈ ચૌહાણ, નવચેતનભાઇ સોલંકી, અશોકભાઈ સિંધવ, જયંતીભાઈ રાઠોડ, વસંતભાઈ ચાવડા, અશોકભાઈ લીલાધર, યોગેશભાઈ ભાષા અને મનસુખભાઈ રાઠોડ રામોદ સહિતનાઓ દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું આખરે આ બનાવનાર મુખ્ય ફરિયાદી રાજુભાઈ સોલંકી દ્વારા જનસભા ને સંબોધવામાં આવી હતી અને કહેવાયું હતું કે અમે વટલાઈ ગયેલા છીએ મારું અને જયરાજસિંહનું ડીએનએ ચેક કરવામાં આવે તો મારા ડીએનએમાં પણ ક્ષત્રિય જ આવે વધુમાં જયરાજસિંહ જાડેજાને ખુલ્લી ચેલેન્જ આપતા રાજુભાઈ સોલંકી એ કહ્યું હતું કે મારે ચાર દીકરા છે તારે એક દીકરો છે કોઈ ભૂલ કરતા નહીં ગોંડલ શહેર અને તાલુકાના કોઈપણ જગ્યાએ અન્યાય થશે તો તેઓ જરૂરથી હાજર રહેશે આ ઉપરાંત રાજુભાઈ સોલંકી મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે જો જયરાજસિંહ અને તેનો દીકરો ગણેશ એક અઠવાડિયું ગોંડલની બજારમાં બોડી ગાર્ડ વગર ફરી બતાવે તો હું આ કેસમાં સમાધાન કરી લઈશ.
આ ઉપરાંત દલિત સમાજના ઠેર ઠેરથી આવેલા આગેવાનોએ સમાજના જ આગેવાનોને કટાક્ષ કરતાં કહ્યું હતું કે આપણા જ સમાજના કેટલાક લોકો સમાજની વિરુદ્ધ જઈ લુખાઓના તલવા ચાટવા જાય છે આવા લોકોને ચમચો આપી સન્માન કરવાની ફરજ પડશે.
એક તરફ દલિત સમાજ દ્વારા જુનાગઢ થી બાઇક કરેલી યોજના ગોંડલમાં દબદબાભેર સભા સંબોધવામાં આવી હતી તેની સામે અગાઉથી જાહેરાત કરાયા મુજબ ગોંડલ માર્કેટિંગ યાર્ડ, નાની મોટી બજાર, જેલ ચોક, કડીયાલાઈન સહિતના વિસ્તારો ધંધા રોજગારો સ્વયંભૂ બંધ રહ્યા હતા.
દલિત સમાજના આગેવાનોએ કહ્યું કે આ કેસમાં હજુ અમારી વધુ ચાર માંગ છે જેમાં મૂળ એફઆઈઆર માં ગુજસીટોક નો ઉમેરો કરવો, ગુનાહિત કાવતરામાં 120 બી ની કલમ ઉમેરવી, સ્પેશિયલ પીપી ની નિમણૂક કરવી તેમજ આ કેસ ફાસ્ટ ટ્રેક માં લઇ છ મહિના કે વર્ષ માં કેસ ચલાવી દેવો
વધુમાં દલિત સમાજ વિરૂદ્ધ વિડિયો ક્લિપમાં બોલનાર સિધ્ધરાજસિંહ ઝાલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ બાદ પોલીસ દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા ન હોય તે તુરંત લેવા માંગ કરવામાં આવી હતી.
રેલી અને સંમેલન નાં પગલે ગણેશ નાં સમર્થન માં સવારથી જ માર્કેટ યાર્ડ, નાની મોટીબજાર, કડીયાલાઇન, કોલેજ ચોક, જેલચોક સહિત બંધ રહ્યા હતા. ઉપરાંત તાલુકાનાં મુખ્યત્વે ગામડાઓ બંધ રહ્યા હતા.
કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેરભર માં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.જયરાજસિંહ જાડેજાનું જ્યા નિવાસસ્થાન આવ્યુ છે તે કોલેજ ચોક થી આશાપુરા અંડરબ્રિજ સુધી નાં માર્ગને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયો હતો.