![]() |
![]() SANJ SAMACHAR | Date: 15-06-2024 Saturday | Rajkot |
|
(ફોટા: વિપુલ હિરાણી દ્વારા )ભાવનગર તા.15
કેન્દ્રના રાજ્ય કક્ષાના ગ્રાહક સુરક્ષા અને અન્ન પુરવઠા મંત્રી નિમુબેન બાંભણીયા પદગ્રહણ પછી પ્રથમ વાર ભાવનગર આવતા શહેર ભાજપે ’વિજય ગૌરવ યાત્રા’ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરેલ. રાજપરા ખોડિયાર માતાના દર્શન આશીર્વાદ લઈને મસ્તરામ મંદિર ખાતે નિમુબેન પધાર્યા એ સમયે વરસાદે પણ અમીછાંટણા કરીને તેમને વધાવ્યા હતાં.
વિજય ગૌરવ યાત્રાના રૂટમાં ઠેર ઠેર ભાવેણાવાસીઓએ નિમુબેનનું ઢોલ, ત્રાંસા, હારતોરા તેમજ પુષ્પગુચ્છ આપીને તેમનું ઉમળકાભેર સ્વાગત કરેલ. શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ અધ્યક્ષ આર. સી. મકવાણા, ધારાસભ્યો જીતુભાઇ વાઘાણી, સેજલબેન પંડ્યા, પ્રભારી ચંદ્રશેખરભાઈ દવે, મેયર ભરતભાઇ બારડ સહિત ભાવનગર શહેર તેમજ ભાવનગર, બોટાદ જિલ્લાના મહામંત્રી, સંગઠનના હોદ્દેદારો, પૂર્વ અને વરિષ્ટ હોદ્દેદારો અને આગેવાનો, વિવિધ સેલ, મોરચા અને સમિતિઓના હોદ્દેદારો, કાર્યકર્તાઓએ ’વિજય ગૌરવ યાત્રા’ માં ભાગ લીધો હતો, અંતે શહેર ભાજપ કાર્યાલય ખાતે સમાપન સભામાં આગેવાનોએ શબ્દરૂપી સ્વાગત તેમજ પુષ્પગુચ્છ સ્મૃતિચિન્હ આપીને નિમુબેનનું સ્વાગત કરેલ હતું.
ખોડીયાર મંદિર ખાતે દર્શન
શ્રીમતી નીમુબેન બાંભણીયા ભાવનગર ખાતે પહોંચતાં પહેલા તેઓએ રાજપરા ખાતે આવેલ સુપ્રસિધ્ધ ખોડીયાર માતાજીના મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
આ તકે રાજપરા ખાતે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, શ્રીમતી સેજલબેન પંડ્યા, આગેવાન અભય ભાઈ ચૌહાણ, આર. સી. મકવાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.