SANJ SAMACHAR | Date: 29-06-2024 Saturday | Rajkot |
www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net |
રાજકોટ, તા.29
ઉપલેટા વિસ્તારમાં કોલેરાથી પાંચ બાળકોના મોત થતાં હાહાકાર મચી જવા પામ્યો છે. આ ઘટનાના રાજ્યભરમાં ઘેરાપ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે પોરબંદર સંસદીય વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય રમત ગમત મંત્રી ડો. મનસુખ માંડવીયાએ જિલ્લા કલેક્ટર પ્રભવ જોષી, આરોગ્ય અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે આ મામલે રિવ્યુ મીટીંગ યોજી હતી.
જેમાં કોલેરાગ્રસ્ત ઉપલેટા વિસ્તારમાં સ્ક્રીનીંગ વેક્સિનેશન અને લોકજાગૃતિ માટેના કાર્યક્રમો યોજવા માટે અધિકારીઓને તાકિદ કરી હતી. તેની સાથોસાથ આ વિસ્તારમાં કોરોના વિરોધી વેક્સિન લગાવવા પણ આદેશ આપ્યો હતો.
કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવીયાએ પોતાના પંજાબના પ્રવાસ દરમ્યાન ઉપલેટા વિસ્તારમાં ફેલાયેલા કોલેરાના આ રોગચાળા અંગે ચિંતા વ્યકત કરી કલેક્ટર, આરોગ્ય અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી આ રીવ્યુ મીટીંગ યોજી હતી.
જેમાં ડો. માંડવીયાએ કોરોનાને લગતી આરોગ્ય વિભાગની જે એસઓપી છે તેનો ચુસ્ત રીતે અમલ કરવા તેમજ સતત સર્વેલન્સ ચાલુ રહે તે માટે વ્યવસ્થા ગોઠવવા આ ઉપરાંત જરૂર પડે એઇમ્સ રાજકોટની તબીબી ટીમની મદદ લેવા માટે અધિકારીઓને તાકિદ કરી જણાવ્યું હતું કે લોકોમાં ખાન-પાન અને સ્વચ્છતાની જાગૃતિ આવે તે દિશામાં તંત્ર જનજાગૃતિ અંગે પ્રયાસો કરે અને લોકો પાણીને ઉકાળીને પીવે, વાસી અને ગંદો આહાર ન લે તે માટે લોકોને માર્ગદર્શન આપવા ડો. માંડવીયાએ અધિકારીઓને જણાવ્યું હતું.